અમરેલી અને અમદાવાદમાં લાખો લિટર પાણીનો બગાડ
અમદાવાદ અને અમરેલી પાસે આવેલા ગામોમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને પીવાના પાણીનો ભારે બગાડ થયો હતો.
સમગ્ર રાજ્યમાં હાલ ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. અમદાવાદ જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનાં ડાભસર જુથમાંથી અનેક ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે . અમદાવાદ જિલ્લાના દેત્રોજના ડાભસર- કાંચરોલ ગામ પાસે આવેલ પાણીની મુખ્ય પાઇપલાઇનમાં 2 થી વધુ જગ્યાએ ફરીવાર ભંગાણ પડ્યું છે. જેને કારણે ખેતરોમાં પાણી ભરાયાં છે અને પીવાના પાણીનો બગાડ થયો છે. છેલ્લા ઘણાં દિવસોથી દેત્રોજના ડાભસર-નાયકપુર અને કાંચરોલ એમ બે જગ્યાએ પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણની આ મુખ્ય લાઇન હોવાથી પાણીનો મોટા પાયે બગાડ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે, પરંતું પાણી ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. દેત્રોજના તાલુકામાં મદ્રીસણા સહિત ગામના લોકોએ આ અંગે અનેક વાર વિરમગામ પાણી પુરવઠા જુથ વિભાગ તેમજ ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત કરી હતી. તેમ છતાં વિરમગામ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, એવી ગ્રામજનોની ફરિયાદ છે.
બીજી બાજુ અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ચરખડીયા-ઓળીયા ગામ વચ્ચે પસાર થતી મહીં પરિયોજનાની પાઇપલાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. આને કારણે હજારો લિટર પાણી વેડફાઇ ગયું હતું. અમરેલી જિલ્લામાં આ અંગે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.