વાયબ્રન્ટ સમિટમાં શહેરીકરણની સમસ્યા અને વિકાસ પર એક દિવસિય ચિંતન કરાશે
વાયબ્રન્ટ સમિટઃ શહેરીકરણની સમસ્યા અને વિકાસ પર ચિંતન કરાશે
ગુજરાતમાં વધતા જતાં શહેરીકરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મોબીલિટી લેંડ અર્બન ડેવલપમેન્ટ પર સેમિનારનું આયોજન વાયબ્રન્ટ સમિટમાં કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે સેમિનાર અને લેક્ચર સિરીઝ પણ યોજાશે. શહેરી વિકાસના અગ્ર સચીવ મુકેશ પુરીએ આ અંગે માહિતી આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સેમિનાર દ્વારા શહેરોના ઝડપથી વધી રહેલા વિકાસની સાથે સાથે તેમાં ઉદ્ભવતી સમસ્યાને દુર કરવા અને પડકારોનો સામનો કરવા તેમજ ઝડપી ઉકેલ માટે તજજ્ઞો સાથે સંવાદ કરવામાં આવશે.
શહેરી વિકાસ પર કરાશે સંવાદ
શહેરોમાં સ્વચ્છતા અને વધુ સુવિધામય બનાવવાની દિશામાં પણ પગલાં ભરવા સમૂહ ચિંતન કરવામાં આવશે. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અને શહેરીકરણની સાથે વધતી જતી પાર્કિગ અને ટ્રાફીકની સમસ્યાના ઉકેલ માટે પણ ચિંતન કરવામાં આવશે. વ્હીકલ શેરીંગ, ઇલેક્ટ્રીકલ વ્હીકલ દ્વારા ઇકો ફ્રેન્ડલી પ્રયાસ કરવાની દિશામાં પણ આયોજન કરવામાં આવી શકે છે. સમિટમાં હોલિસ્ટિક એપ્રોચ ટુ અર્બન મોબીલિટી અને રોલ ઓફ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન ફોર હાઉસિંગ વિષય પર સેમિનાર કરાશે. આ સેમિનારમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો શહેર તરફ લોકોના સ્થળાંતર અંગે શહેરી વિસ્તારના વિવિધ પાસાં અંગે સંવાદ કરશે. જેમાં, શહેરી આયોજન, શહેરી વિકાસ, સર્વસમાવેશક વિકાસ, આવાસ, ઝૂંપડપટ્ટી પુનર્વસન, પરિવહન વ્યવસ્થા વગેરે વિષય પર ચર્ચા વિચારણા કરાશે.
દેશના વિકસિત રાજ્ય તરીકે ગુજરાતની છબી
ગુજરાત દેશનું પ્રગતિશીલ અને વિકસિત રાજ્ય ગણાય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી 6.04 કરોડ થાય છે. જેમાં, 2.57 કરોડ લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. એટલે કે, રાજ્યની 43 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. જેમાં, નાના શહેરો અને મહાનગરોનો સમાવેશ થાય છે. રાજ્યનો વર્તમાન શહેરીકરણનો દર રાષ્ટ્રીય શહેરીકરણના દર કરતાં 31.16 ટકા જેટલો વધુ છે.
વાયબ્રન્ટ સમિટમાં થશે સંવાદ
મોબીલિટી લેન્ડ અર્બન ડેવલપમેન્ટ સેમિનારમાં ખાસ કરીને પરિવહનની સુવિધાનો વ્યાપ વધારવા અને જમીન ઉપયોગ અને ગૃહ નિર્માણ દ્વારા નાગરિકોને ઉત્તમ સેવા પુરી પાડવા ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગ અને અમલીકરણ પર ભાર મુકવામાં આવશે. આ સેમિનારમાં ગૃહ અને શહેરી વિભાગના કેન્દ્રીય પ્રધાન હરદીપસિંઘ પુરી અને સચીવ દુર્ગા શંકર મિશ્રા પણ ઉપસ્થિત રહેશે.
ભારતીય સેના દિવસઃ 9 જાન્યુઆરી સુધી ઓનલાઈન સ્પર્ધાઓમાં થઈ શકો છો શામેલ