મોદીએ ગુજરાતની બહેનોને આપી રક્ષા બંધનની ભેટ
પીએમ મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાત માટે આવ્યા છે દરમિયાન ગુજરાતી બહેનોને ભેટ આપી.
પીએમ મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાત માટે આવ્યા છે. આજે વહેલી સવારે તેઓ દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાંથી હેલિકોપ્ટર મારફતે તેઓ વલસાડના જુજવા ગામે ગયા અને અહીં લોક કલ્યાણના કામોનું લોકાર્પણ કરાવ્યું હતું. પીએમ મોદીએ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાની અસ્ટોલ જૂથ પાણી પૂરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ જાહેરસભાને સંબોધી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આવનારા સમયમાં ગુજરામતાં દુકાળની સ્થિતિ ન રે અને લોકો પાણી માટે ન તરસે તે માટેની આપણી જળસંચય યોજનાથી શરૂ કરીને દરિયાના ખારા પાણીને મીઠાં કરીને લોકો સુધી પહોંચાડવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે.
એક જ સપનું રોટલો અને ઓટલે
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું કે "ગામડાનો છેવાડાનો માણસ વરસોથી કાચા મકાનોમાં રહેતો હતો તે લોકો આજે પાકાં મકાનો મળ્યાં છે અને ભાજપ સરકારે ઘરના ઘરનું સપનું પૂરું કરાવ્યું. કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે, "ભાજપની સરકાર ઠાલાં વચનો આપતી નથી અને ઘરના નામે ખોટાં ફોર્મ છાપીને લોકોને આપતી નથી. અમારી સરકારે જે બોલે છે તેટલું કરે છે અને જે કરી શકે છે તેટલું જ બોલીએ છીએ." 2022 સુધીમાં બધાને રોટલો અને ઓટલો મળે તે પીએમ મોદીનું સ્વપ્ન છે. આ દિશામાં આજે આવાસ યોજના અંતર્ગત 1,15,551 મકાનો પૂર્ણ કરીને લોકોને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં તેમનો ગૃહ પ્રવેશ કરાવ્યો છે.
આપ્યું ઘરનું ઘર
નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, "રક્ષા બંધનના પવિત્ર તહેવાર પહેલા તમામ માતા-બહેનોને ઘરનું ઘર આપીને તમારા ભાઈ તરીકે હું બહુ સંતોષ અનુભવી રહ્યો છું. આજે વધુ એક 600 કરોડ રૂપિયાની યોજના પણ રક્ષા બંધન પહેલા અમારી માતા-બહેનો માટે ભેટ સમાન છે. પીવાનું શુદ્ધ જળ ન હોવાના કારણે જિંદગી બિમારીનું પણ ઘર બની જાય છે. મારા જવાનીના કેટલાય વર્ષ મેં આ આદિવાસી વિસ્તારમાં વિતાવ્યા છે. અહીં હું ફરતો ત્યારે વિચારતો કે આટલો વરસાદ અહીં થાય છે છતાં દિવાળી પહેલા જ પાણી પૂરું થઈ જાય અને લોકોએ પાણી માટે તરસવું પડે છે. મુખ્યમંત્રી હતો ત્યારે ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી વિસ્તારોના દરેક ગામ અને દરેક ઘરને નળથી જળ મળે તે સપનું જોયું હતું."
ભાજપ સરકારે સપનાં સાકાર કર્યાં
પીએમ મોદીએ કહ્યું કે, "એક લાખથી વધુ પરિવારો અને બહેનોને એમના સપનાનું ઘર મળે તેનાથી મોટી રક્ષા બંધનની કોઈ ગિફ્ટ ન હોય શકે. જે બહેનોને ઘર ન મળ્યું હોય તેમની પીડા કેવી હોય છે, જીંદગી કેવી ગુજરે છે, સવારે સપનું ખીલે અને સાંજે સપનું વિખેરાય જાય છે પરંતુ જો આપણું જ ઘર હોય તો સપનાં પણ સાચાં થવા લાગે છે અને એ સપનાને પૂરાં કરવા માટે આખો પરિવાર પુરુષાર્થ કરે છે અને જિંદગી બદલવી શરૂ થઈ જાય છે."
ઘર આંગણે પધાર્યા પીએમ મોદી, કરશે આટલાં કામ
|
વીડિયો
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતી વખતે મોદીએ સભા સંબોધી. અહીં સાંભળો મોદીની વાત..