નરેન્દ્ર મોદીએ રાજ્યપાલને રાજીનામુ આપ્યું : નવી સરકાર માટે દાવો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપે ખૂબ સરળતાથી બહુમતી મેળવી લીધી છે. ગુજરાતમાં ભાજપે સતત પાંચમી વાર વિજય મેળવ્યો છે. જેના પગલે શુક્રવારે બપોરે 12 કલાકે ભાજપના નેતાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યપાલ કમલા બેનીવાલને મળ્યા હતા. નવી સરકાર રચવાની ઔપચારિકતા નીભાવતા નરેન્દ્ર મોદીએ કેબિનેટનું રાજીનામુ આપ્યું હતું. આ ઔપચારિકતા પૂરી કરવા સાથે તેમણે નવી સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બરે ભાજપના દિલ્હીના મોવડીઓ, રાજકારણ અને બોલિવુડ સાથે સંકળાયેલા મિત્રો તથા ગુજરાતની જનતા સમક્ષ શપથવિધિ કરશે. આ સમયે તેઓ પોતાના નવા મંત્રીમંડળની જાહેરાત પણ કરશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપના પાંચ મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે નવા મંત્રીમંડળમાં નવા ચહેરા અને જૂના મંત્રીઓને નવા મંત્રાલયોની ફાળવણી કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે.