ગુજરાત ચૂંટણી: કચવાયેલા વાઘેલા વર્સિસ મોફાટ મોદી
ગુજરાતમાં આગામી 13મી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. ભાજપનો મુખ્ય ચહેરો કે પછી કેપ્ટન ગમે તે કહો તે નરેન્દ્ર મોદી છે, તો બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી નક્કી નથી કરી શકી કે તેનો કેપ્ટન કોણ હશે? મોદી મુદ્દો બનાવીને ચૂંટણી પ્રચારમાં જોરશોરથી એ વાતને ગજવી રહ્યાં છે. તેમણે અહેમદ પટેલના નામને ઉછાળી કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવવા માંગી રહ્યું છે અને તેના માટે આ બધા કાવાદાવા કરી રહ્યું છે તેમ પોતાની જાહેરસભાઓમાં કહી એક વિવાદ ચગાવ્યો હતો. ત્યારે બધાને આશ્ચર્ય પમાડી શંકરસિંહ વાઘેલાએ પોતાને જ કોંગ્રેસના કેપ્ટન ગણાવી તમામને આંચકો આપ્યો છે. જો કે, બાદમાં તેમણે પોતાની વાતને ફેરવીને રજૂ કરી હતી, પરંતુ તેમના આ પ્રકારના નિવેદનથી એ વાત ચોક્કસ છે કે જો કોંગ્રેસ સત્તા પર આવે તો તે મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરશે. ત્યારે હવે આ લડાઇ સીધી મોફાટ નરેન્દ્ર મોદી અને કચવાયેલા શંકરસિંહ વાઘેલા વચ્ચે થઇ જવા પામી છે.
મોફાટ મોદીએ કેવી રીતે જગાવ્યો વિવાદ
ગુજરાતની ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ રાજપીપળા, ભરૂચ સહિતના ગામોમાં જાહેરસભાઓ યોજી હતી. આ તમામ અહમદ પટેલના મતવિસ્તાર છે. મોદી સમય અને પરિસ્થિતિ પ્રમાણે પ્રહાર કરવા માટે જાણીતા છે. રાજકારણને પચાવી પાડેલા મોદીએ યોગ્ય સમયે દાવ રમીને જાહેરસભાઓમાં કહેવાની શરૂઆત કરી દીધી કે, કોંગ્રેસ એક મોટી બાજી રમી રહી છે, તે અહમદ મિયાં પટેલને ગુજરાતની ગાદી પર બેસાડવા માંગે છે... બસ, પછી જોવાનું શું, મોદીના આ પ્રહાર બાદ અહમદ પટેલે જાહેર નિવેદન આપ્યું કે, તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર નથી. પટેલના આ પ્રકારના નિવેદનને પકડીને મોદીએ પોતાની બીજી ચાલ ચાલી અને વળતા પ્રહારો કરવા માંડ્યા કે, તો પછી કોંગ્રેસના કેપ્ટન કોણ છે? શા માટે કોંગ્રેસ તેમના કેપ્ટનના નામની જાહેરાત કરતા નથી? ઉક્ત પ્રકારના પ્રશ્નો પૂછીને મોદીએ કોંગ્રેસમાં શાંત પડી રહેલા સત્તાની લાલસાના દરિયામાં તોફાન ઉભૂ કરવાનું કામ કર્યું છે. મોદી એ વાત સ્પષ્ટપણે જાણે છે કે જો આ વાતને મુદ્દો બનાવવામાં આવશે તો કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાના પોતાના જ પ્રશ્નો અને વિવાદોના વમણમાં ફસાઇ જશે.
વાઘેલાએ કચવાયેલી જીભે વ્યક્ત કરી ઇચ્છા
ભાજપ સાથે બળવો કરીને અલગ પક્ષ રચ્યા બાદ કોંગ્રેસનો હાથ પકડનારા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ગાદી સંભાળી છે, અને કોંગ્રેસમાં આવ્યા બાદ પણ તેમની નજર ગુજરાતની ગાદી પર જ હતી, પરંતુ બીજા પક્ષમાંથી આવ્યા હોવાના કારણે તેઓ કોંગ્રસના કાર્યકર્તાઓ અને મોવડીમંડળનો વિશ્વાસ જીતવામાં એટલા સફળ થયાં નહોતા, ઉપરાંત છેલ્લા 16-17 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર હોય તેમની મુખ્યમંત્રી બનવાની ઇચ્છા દબાઇ ગઇ હતી. હવે જ્યારે નરેન્દ્ર મોદીએ તેમની દુઃખતી રગ પર હાથ મુકી, વાઘેલાની સુષુપ્ત થઇ ગયેલી ઇચ્છાને પુનઃ જાગૃત અવસ્થામાં લાવી દીધી છે. મોદીના કેપ્ટન કોણ એવા પ્રશ્નથી આવેશમાં આવી ગયેલા શંકર સિંહ વાઘેલાએ એક ચૂંટણી સભા દરમિયાન કહીં દીધું કે પોતે જ પક્ષના કેપ્ટન છે, પરંતુ તેમને પોતે જે બોલી ગયા તેનું ભાન થયું હતું અને બાદમાં બીજી એક સભામાં તેમણે કહીં દીધુ કે લોકશાહીમાં પહેલા ધારાસભ્યો ચૂંટાય છે અને પછી મુખ્યમંત્રી નક્કી થાય છે.
સુરેન્દ્રનગરમાં જાહેરાત જુહાપુરામાં વાળી લીધી વાત
શંકરસિંહ વાઘેલા સુરેન્દ્રનગરમાં એક ચુંટણી સભા સંબોધી રહ્યાં હતા, જેમાં તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું કે, ભાજપ પોતાની જાહેર ખબરોમાં કહે છે કે કોંગ્રેસનો કેપ્ટન કોણ છે તો હું તેમને જણાવી દઉં કે કોંગ્રેસનો કેપ્ટન હું છું. અને મે ઉમેદવારી વિરોધપક્ષના નેતા બનવા માટે નોંધાવી નથી. જો કે, બાદમાં તેમને પોતે શું બોલી ગયા તે વાત સમજાતા જુહાપુરા ખાતેની સભા દરમિયાન પોતાની વાતને વાળી લીધી હતી. તેમણે જુહાપુરામાં કહ્યું કે, ભાજપ વારંવાર કહે છે કે કોંગ્રેસને કોઇ કેપ્ટન નથી, તેમનો કોઇ મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી, પરંતુ તેમને જણાવી દઇએ કે લોકશાહીમાં પહેલા ધારાસભ્યો ચૂંટાય છે અન બાદમાં મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરવામાં આવે છે.
વાત ગમે તે હોય પરંતુ એ વાતમાં બે મત નથી કે શંકરસિંહ વાઘેલા ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બનવા માગે છે, ભલે તેમને એ વાત સ્પષ્ટ ના કહીં હોય પરંતુ તેમણે સુરેન્દ્રનગરમાં જાહેરસભામાં જે કંઇપણ કહ્યું તેનાથી એકવાત ફલિત થાય છે કે આગામી સમયમાં સત્તાના સિહાસનને લઇને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જરૂરથી થશે.