Morbi Bridge Collapse : ઓરેવાના માલિક જયસુખ પટેલે કર્યું આત્મસમર્પણ
Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલનું નામ FIRમાં આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે. જયસુખ પટેલે 20 જાન્યુઆરીના રોજ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.
Morbi Bridge Collapse : મોરબી પુલ દુર્ઘટનામાં આરોપી ઓરેવા ગૃપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલે મંગળવારના રોજ મોરબીની સીજેએમ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. જે બાદ કોર્ટે જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ પહેલા સીજેએમ કોર્ટે જયસુખ પટેલ સામે વોરંટ જાહેર કર્યું હતું. ધરપકડથી બચવા માટે મોરબી સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાત પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સામેલ હતા. જેમાં કંપનીના બે મેનેજર અને બે ટિકિટ ક્લાર્ક છે.
FIRમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ પણ નોંધાયેલું છે. જયસુખ પટેલે 20 જાન્યુઆરીના રોજ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ગુજરાત પોલીસે 27 જાન્યુઆરીના રોજ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 1,262 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલની કંપનીને ફટકારી હતી નોટિસ
ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લઈ રહી છે. હાઈકોર્ટે ગયા મહિને મોરબી ઝૂલતા પુલની જાળવણી અને સંચાલન કરતી કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ)ને નોટિસ ફટકારી હતી. કંપનીને કાર્યવાહીમાં પ્રતિવાદી બનાવવાની માંગ કરવામાં આવી હતી. અરજદારે માંગ કરી હતી કે, કંપનીને અકસ્માતને કારણે થયેલા નુકસાનની ચૂકવણી માટે જવાબદાર બનાવવામાં આવે.
એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અજંતા કંપનીએ મોરબી ઝૂલતા પુલના સમારકામ માટે દેવપ્રકાશ સોલ્યુશન્સ સાથે કરાર કર્યો હતો. આ પુલને દિવાળીની રજાઓમાં સરકારને જાણ કર્યા વિના કે ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા વિના લોકો માટે ખૂલ્લો મૂકી દેવાયો હતો.