શહેરોમાં ગરીબ મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર સાકાર કરતી મુખ્યમંત્રી ગૃહ યોજના
શહેરોમાં ગરીબ મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર સાકાર કરતી મુખ્યમંત્રી ગૃહ યોજના
પોતાના ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. ત્યારે, આ સ્વપ્નને સાકાર કરવા માટે લોકો તનતોડ મહેનત કરતાં હોય છે. ત્યાં સુધી કે, આજીવન બેંકોના હપ્તામાંથી છુટકારો પણ મેળવી શકતાં નથી. આ સ્થિતિમાં મધ્યમ અને ગરીબ પરિવારો માટે પોતાના ઘરનું ઘર હોય તે સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જેમાંની એક યોજના એટલે મુખ્યમંત્રી ગૃહ યોજના. રાજ્ય સરકારની આ યોજના શહેરી વિસ્તારમાં રહેતા આર્થિક નબળા અને ઓછી આવક ધરાવતાં પરિવારો માટે અત્યંત ઓછા દરે આવાસ પુરા પાડતી યોજના છે.
રાજ્યમાં શહેરીકરણના વધતાં જતાં વ્યાપને ધ્યાનમાં રાખીને 2013ના વર્ષમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં મિલ્કતોના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પોતાની આવક પર આવાસ મેળવવું કપરું બની ગયું છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા અત્યંત રાહત દરે મકાન આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા એક લાખથી વધુ આવાસો ફાળવણી કરી દેવામાં આવી છે. તો, એક લાખ જેટલા આવાસો નિર્માણાધિન છે.
ગાંધીનગરના મિલન ચૌહાણે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગુડાની આવાસ યોજનામાં અમોને આવાસ મળતાં અમારા પરિવારનું વર્ષોનું ઘરનું ઘર મેળવવાનું સપનું સાકાર થયું છે. ભાડાના મકાનમાં અને ઝૂંપડપટ્ટીમાં વર્ષે સુધી રહ્યા બાદ આખરે પોતાના ઘરનું ઘર સાંપડ્યુ છે.
શહેરી વિસ્તારમાં ઘર મેળવવા માટે સ્થાનિક સત્તામંડળ દ્વારા આવતી જાહેરાત પ્રમાણે જરૂરી દસ્તાવેજો અને ડિપોઝીટની રકમ સાથે ફી ભરવાની રહે છે. કોમ્પ્યુટરાઇઝડ્ ડ્રો સિસ્ટમથી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવે છે. જુદી જુદી કેટેગરીના વિવિધ આવાસ દરેક પરિવારને પોતાની આવકના માપદંડને ધ્યાનમાં રાખીને ફાળવવામાં આવે છે.
આ અંગે અમદાવાદના મોતીભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે, અમે પરિવાર સહિત 20 વર્ષથી વધુ સમયથી ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતાં. આખરે આવાસ યોજના હેઠળ એમઆઇજીનો ફ્લેટ મળતાં હવે પરિવાર સાથે પોતાના મકાનમાં રહેવા મળ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર પણ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ મળી રહે તે માટેના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે. તાજેતરના બજેટમાં શહેરી વિસ્તારના વિકાસ માટે 14 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગરીબ પરિવારો માટે આવાસ નિર્માણ માટે 942 કરોડની જંગી રકમ ફાળવવામાં આવી છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગને પોતાનું આવાસ મળી રહે તે માટે બજેટમાં 55 હજાર નવા આવાસ નિર્માણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યમાં દરેક પરિવારને પોતાની છત મળી રહે તે માટેના સરકારના પ્રયાસો થકી નાગરિક કલ્યાણ એજ સત્તાનું સરકારનો ધ્યેય સફળ કરી શકાય છે.