નરેન્દ્ર મોદીનું ૨૯ નવેમ્બરે એકસાથે ૨૬ વિધાનસભા ક્ષેત્રોમાં 3D સંબોધન
ગાંધીનગર, 27 નવેમ્બર : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી 29 નવેમ્બરે એક સાથે 26 વિધાનસભા સ્થાનો પર 3D ટેકનોલોજી દ્વારા જાહેર સભાને સંબોધન કરશે.
આ અંગેની વિગતો આપતા પ્રદેશ મંત્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે ગુજરાત આધુનિકતામાં પણ સહુથી આગળ છે તેની પ્રતિતી કરાવવા માટે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિશ્વની અતિ આધુનિક 3D હોલોગ્રાફિક પ્રોજેકશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપના પ્રચાર વૈવિધ્ય અંગે ભરત પંડયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની 3D લાઇવ સભાઓ ઉપરાંત વિકાસ રથ, ટીવી અને રેડીયોની જાહેરાતો, વીડિયો - ઓડીયો સીડી, ભાજપની વેબસાઇટ, સોશીયલ મીડીયા, હોર્ડીંગ્સ, પોસ્ટર પત્રિકા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત 28 જેટલા રથ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવશે. આ રથમાં પણ 3D ટેકનોલોજીથી મુખ્યમંત્રીના પ્રવચનો, કોંગ્રેસના અપપ્રચાર સામે સત્ય જાહેર કરતી વાતો, કેન્દ્ર સરકારમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા તથા કેન્દ્રનો ગુજરાતને અન્યાય અંગે આક્રમક પ્રચાર સામગ્રી સાથે આ રથ દરેક વિધાનસભા વિસ્તારમાં ફરશે. ચાર મહાનગરોમાં અત્યારે થ્રીડી વર્ચ્યુઅલ લાઇવ રથનો પ્રયોગ ચાલી રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા નિર્મલા સિતારમનએ કોંગ્રેસની નકારાત્મક જાહેરખબરો એ અપપ્રચારની ટીકા કરતાં જણાવ્યું હતું કે કુપોષણના મુદ્દે માનવીય સંવેદના ભૂલીને કોંગ્રેસ જુઠાણા ચલાવે છે. આ મુદ્દે જાહેર ચર્ચા યોજાવી જોઈએ અને આવી જાહેરખબર બંધ થવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ તથા અમારા રાજયો અને તમારા રાજયો એવી સરખામણી કરીને દેશની સર્વોપરિતાને બાજુ પર મુકવાનો પ્રયાસ કરે છે.