'સોનિયાબેન 2007નાં ભાષણનું કાગળિયું લેતા આવ્યા'
તેમણે જાહેરસભાને સંબોધતા કહ્યું કે, હું ગુજરાતના ખુણે-ખુણે ફર્યો છું. આદિવાસી પટ્ટો હોય, દરિયા કાંઠો હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય. દરેક જગ્યાએ હું ગયો, ત્યાં ચારેતરફ મને આટલો જ જનજુવાળ જોવા મળ્યો છે. એ જ બતાવી દે છે કે ચૂંટણીમાં ભાજપની આંધી છે અને આ વખતે જે આંધી ફુંકાઇ રહી છે તે કોંગ્રેસને ગુજરાતમાંથી જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે.
તમારો મત ઘણો જ અગત્યનો છે અને તમારે જ નક્કી કરવાનું છે કે ગુજરાત કોના હાથમાં સોંપવું. તમારે નક્કી કરવાનું છે કે ગુજરાતનો વિકાસ કરવો હોય તો સુકાની તરીકે કોની પસંદગી કરવી. તેમણે લોકોને પૂછ્યું હતું કે, તમે જ્યારે ઘરની બહાર જાવ છો ત્યારે કોઇ અજાણ્યાને ઘરની ચાવી આપો છો, તમે 15 દિવસ પછી પાછા આવવાના હોય તો પણ તમે આપો છો, જો તમે તમારા ઘરની ચાવી કોઇ અજાણ્યાના હાથમાં નથી સોંપતા તો પછી આ આખે આખું ગુજરાત કેવી રીતે કોઇ અજાણ્યાના હાથમાં સોંપાય, જ્યારે ટીવી પર હું આવું છું ત્યારે તમારા ઘરમાં રમતુ ટાબરીયું ટીવી પાસે પહોંચીને કહે છે ને કે મોદી અંકલ આવ્યા, મોદી અંકલ આવ્યા, ગુજરાતનું દરેક ટાબરીયું મને ઓળખે છે, ગુજરાતની આ છ કરોડની જનતા મને ઓળખે છે. બધા મને બરાબર આળખે છે, તેઓ જ ન્યાય કરશે. મારું લક્ષ્ય અન ધ્યેય ગુજરાતનો વિકાસ છે, ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટેની મે મથામણ આદરી દીધી છે.
તેમણે સભા ઉપસ્થિતિ જનજુવાળને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, સોનિયાબેન પાટણ પધાર્યા હતા, સારું થયું આ વખતે તેમને કોઇએ સારી સલાહ આપી છે. તેમના સલાહકારની સારી સલાહના કારણે તેમણે સિદ્ધપુર અને પાટણ પસંદ કર્યું, જેના કારણે કોંગ્રેસ દ્વારા જે પાપ કરવામાં આવ્યા છે તે ધોવાઇ જાય, પણ સિદ્ધપુર જાણે છે અને ડાકોરના રણછોડને પણ કોંગ્રેસને ઓળખે છે, સિદ્ધપુરમાં ડુબકી મારવાથી પણ કોંગ્રેસના પાપો ધોવાય તેમ નથી.
સોનિયા ગાંધની ભાષણ અંગે વાકપ્રહારો કરતા તેમણે કહ્યું કે, સોનિયાબેનના ભાષણમાં ગોટો થોઇ ગયો લાગે છે, તેઓ ભુલથી 2007ના ભાષણની નકલ લેતા આવ્યા છે, એટલા માટે જ તેમના ભાષણમાં બધી જૂની વાતો હતી. તેમની પાસે 2012ની ચૂંટણીને લઇને કોઇ મુદ્દા જ નહોતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં 57 તાલુકા ડાર્ક જોન છે પણ હું તમને પૂછું કે શું છે ગુજરાતમાં 57 તાલુકા ડાર્ક જોન. કોઇ સોનિયાબેનને કહો કે એ જૂની વાતો છે. તેમની પાસે કોઇ તાજી માહિતી જ નથી. આ ચૂંટણીની વિશેષતા જોઇ સોનિયાબેન દક્ષિણ, સૌરાષ્ટ્ર, સિદ્ધપુર-ડાકોર ગયા. તેમના ભાષણ જાણ્યા અને સમજ્યા, તો તેમા કોઇ મુદ્દો જ જોવા ના મળ્યો.
દક્ષિણમાં ગયા તો તેમણે કહ્યું કે અહીં મારા સાસું આવ્યા હતા એટલે અમને વોટ આપો. શું તમારા સાસું આવ્યા હોય એટલે અમારે તેમને વોટ આપવાનો. સિદ્ધપુર આવ્યા તો ત્યા કહ્યું કે નહેરુ બધું કરીને ગયા. માનીએ કે પંડિતે કર્યું હશે, પણ હાલના સમયમાં બાબા આદમની વાતો કાઢીને શુ ફાયદો છે, 40 વર્ષમાં આટલા બધા તેમના મુખ્યમંત્રીઓ આવ્યા, આટલા બધા તેમના પ્રધાનમંત્રીઓ આવ્યા, પણ તેમના કામોનો કોઇ ઉલ્લેખ કરો, શું તેમના એકપણ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીએ કોઇ કામ કર્યા છે ખરા, જ્યારે પણ ગાડું અટકે છે ત્યારે 50 વર્ષ પહેલાં નેહરું કરીને ગયા ત્યાં અટકે છે, એનો અર્થ એ થયો કે નહેરુના ગયા પછી કોંગ્રેસ દેશ અને રાજ્યમાં કંઇ કર્યું જ નથી.
ખેડુતોને વિજળી નહીં મળતી હોવાની સોનિયાની વાતનો છેદ ઉડાડતાં મોદીએ કહ્યું કે, જ્યારે પણ વિજળી વિશે કોંગ્રેસ વાત કરે છે ત્યારે કોંગ્રેસ ભુંડી દેખાય છે. સોનિયાબેન દિલ્હીમાં તમારી સરકાર છે, ચાર મહિના પહેલા દેશના 19 રાજ્યોમાં અંધકાર છવાયો હતો. 70 ટકા પ્રજાએ અંધારામાં રહેવું પડ્યું હતું. ત્રણ દિવસ સુધી વિજળી નહોતી, રેલવે ઉભી રહી ગઇ, હોસ્પિટલમાં ઓપરેશન બંધ થઇ ગયા હતા વિજળીના કારણે, ત્યારે મેડમ સોનિયાએ 21 સદીના હિન્દુસ્તાનનું વરવું સ્વરૂપ વિશ્વને દર્શાવ્યું હતું. દેશ વિશ્વમાં બેઆબરુ થયો હતો, વિશ્વના મીડિયામાં દેશમાં છવાયેલા અંધકાર અંગે અહેવાલો આવ્યા, જેમાં છેલ્લા ફકરામાં લખેલું હતું કે, દેશમાં અંધકાર હતો અને 70 ટકા પ્રજા અંધારપટનો સામનો કરી રહી હતી ત્યારે ગુજરાત રાજ્યમાં વિજળી જગારા મારતી હતી. તમે અમને વિજળી અંગે પૂછો છો, અમે જ્યારે પાંચ વર્ષ પહેલા વિજળી માટે વલખાં મારતા હતા ત્યારે તમારી દિલ્હીની સરકારે ગુજરાતને પૂછ્યા વગર રાતો રાત 200 મેગાવોટ આપવાનું ટાળી દીધું. એ પણ કોઇનું ભલું કરવા માટે નહીં પણ મુંબઇમાં વિજળીની અછત છે, જો એ અંધારામાં હશે તો વિશ્વમાં દેશની આબરું જશે, એ લોકો ગુજરાતમાં વિજળીની વાતો કરી રહ્યાં છે.