ઉમાશંકર જોશી અને કુવેમ્પુના અંગે અમદાવાદમાં રાષ્ટ્રીય સેમિનાર
ગુજરાતના લોકોને કુવેમ્પુ વિશે અને કર્ણાટકના લોકોને ઉમાશંકર જોશી વિશે ખૂબ જ ઓછો ખ્યાલ હોય છે અને તેમના પ્રદાન વિશે તો એનાથી પણ ઓછો ખ્યાલ હોય છે તેવી પરિસ્થિતિમાં આવો કાર્યક્રમ મહત્ત્વનો બની જાય છે. આ સેમિનારમાં બે સંસ્કૃતિનું, બે મહાન કવિઓના પ્રદાનનું અહીં પવિત્ર મિલન થશે. બન્નેના ઉમદા વિચારોનો અહીં વિચાર થશે. તેમના પ્રદાન વિશે વિદ્વાનો સંગોષ્ઠી કરશે. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં આવા કાર્યક્રમોનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ કાર્યક્રમ એવી સંસ્થામાં ગોઠવાયો છે જે છેલ્લા પચાસ વર્ષથી રાષ્ટ્રની ધરોહર સમાન હસ્તપ્રતોના સંરક્ષણનું ઉત્તમ કાર્ય કરી રહી છે.
આ સમારોહમાં બંને મહાકવિઓના જીવન-કવન, મહાકવિ અને પ્રકૃતિ, મહાકવિ - એક સ્વપ્નદૃષ્ટા, મહાકવિઓનાં કાવ્યો, નાટકો, નવલકથાઓ/નિબંધો, ટૂંકી વાર્તાઓ, એકાંકીઓ વિશે વિદ્વાનો વાર્તાલાપ આપશે. કુવેમ્પુ વિશેનાં પ્રવચનો આપવા માટે કર્ણાટકથી વિદ્વાનો આવવાના છે.
સમારોહમાં ગુજરાતના નામાંકિત સુપ્રસિદ્ધ સાહિત્યિક વિદ્વાનો - રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત ટોપીવાલા, શીરીષ પંચાલ, રાજેશ પંડ્યા, વિજય પંડ્યા, જયેશ ભોગાયતા, સતીષ વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર મહાકવિ ઉમાશંકર જોશી વિશે નીચેના વિષયો પર પ્રવચનો આપશે.
ઉમાશંકર - જીવન અને કવન, ઉમાંશકર અને પ્રકૃતિ, ઉમાશંકર જોશી : એક સ્વપ્નદૃષ્ટા ઉમાશંકર જોશીનાં કાવ્યો, ઉમાશંકર જોશીનાં નાટકો : ઉત્તર રામચરિત, શાકુન્તલ અને બાલકાન્ડ, ઉમાશંકર જોશીના નિબંધો, ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તાઓ, ઉમાશંકર જોશીનાં એકાંકીઓ.
ઉદ્ઘાટન સમારંભમાં Kvempu - Vignetts of man and mission નો ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. તા.6.10.12ના સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમાં ઉદયકુમાર શેટ્ટી અને સાથીઓ કુવેમ્પુના સાહિત્ય આધારિત નૃત્યનાટિકા ભજવશે અને પ્રા.પ્રવિણભાઈ પંડ્યા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્યનો પરિચય આપતો કાર્યક્રમ ‘ઉમાશંકરના ઉંબરેથી' રજૂ કરશે.
આ સમારોહનું ઉદ્ ઘાટન કરવા મહામહિમ રાજ્યપાલ કમલાજી અને સમાપન સમારંભના મુખ્ય મહેમાનપદ માટે ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રી ડૉ.જયંતિ રવિ ઉપસ્થિત રહેશે.