ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 15 બેઠકોની માગ કરાશે : NCP
વડોદરા, 10 ઑક્ટોબર : આજે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની રાષ્ટ્રીય કારોબારીની મહત્વપૂર્ણ બેઠક વડોદરામાં મળી રહી છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પાર્ટી કેટલી બેઠકો પર ઉમેદવારો ઉતારશે તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. એનસીપી અધ્યક્ષ શરદ પવારને ફરી એકવાર પ્રમુખ પદે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે દેશમાં એનસીપીનું વર્ચસ્વ વધે તેવા પ્રયત્નો આગામી સમયમાં કરવામાં આવશે. ગુજરાતની ચૂંટણીઓ અંગે પક્ષના પ્રદાશિક પ્રમુખ અને અન્ય આગેવાનો સાથે ચર્ચા કરી કોંગ્રેસ પાસે 15 બેઠકો માંગી તેના પર એનસીપીના ઉમેદવારોને ચૂંટણી લડાવવામાં આવશે.
આ અંગે વડોદરામાં આવેલા એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું કે ચૂંટણીને ગુજરાતમાં સ્થિતિ અંગે ગુજરાત એનસીપીના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ સ્થિતિ સ્પષ્ટ થતાં કોંગ્રેસ સાથે તે મુદ્દે વાતચીત કરવામાં આવશે. આ બેઠકમાં એનસીપીના અગ્રણી નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે જરૂર પડશે તો એનસીપી ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છે.
ગુજરાત એનસીપીના પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) અને અન્ય હોદ્દેદારો ઉપરાંત એનસીપીના રાષ્ટ્રીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ચૂંટણી સંદર્ભમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થવા ઉપરાંત સૌથી મહત્વની બાબત કે કોંગ્રેસ સાથે જોડાણ કરી આ વર્ષે કેટલી બેઠકોની માંગણી કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. બેઠકના અંતમાં ગુજરાતમાં એનસીપી 15 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવશે તેવો નિર્ણય લેવાયો હતો.
સૂત્રોનું જણાવવું છે કે ગુજરાતમાં એનસીપીના વધતા વર્ચસ્વને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગુજરાત એનસીપી કોંગ્રેસ પાસે વધારે બેઠકો પર ચૂંટણી લડવાની માંગણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં એનસીપી 3 બેઠકો પર વિજયી બની હતી.