ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર, નાઈટ કર્ફ્યુનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત
ગુજરાતમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વાંચો વિગત.
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મુખ્યમંત્રીએ નાઈટ કર્ફ્યુ આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલમાં આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં નાઈટ કર્ફ્યુ અમલમાં છે.
આ ઉપરાંત કોરોના સંક્રમણના વધુ કેસ ધરાવતા 19 શહેરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાં, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવાડ, ગોધરા, વિજલપોર(નવસારી), બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી રોજ રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નાઈટ કર્ફ્યુની હાલનો સમય 29 જાન્યુઆરી, 2022ના સવારે 6 વાગે પૂર્ણ થાય છે તે લંબાવીને 4 ફેબ્રુઆરી, 2022 સુધી કરવામાં આવ્યો છે. જે મુજબ8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યુ રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે કરીને અન્ય પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તમને જણાવી દઈએ કે નવી ગાઈડલાઈન મુજબ હોટલ-રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં 10 હજારથી વધુ કોરોના કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસથી આંશિક રાહ્ત મળી છે પરંતુ મોતના આંકડા ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12,131 નવા કોરોના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 30 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. ગુજરાતમાં જે રીતે મોતના આંકડા વધી રહ્યા છે તેને લઈને ચિંતાઓ વધી રહી છે.