નિલોફરનો ખતરો ટળ્યો, એલર્ટ તંત્ર લઇ રહ્યું છે સાવચેતીના પગલાં
ગાંધીનગર, 31 ઓક્ટોબરઃ સૌરાષ્ટ્ર અને કચ્છ પર ત્રાટકવાના નિલોફર વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોવાનું હમાવાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે તટીય વિસ્તારમાં હાશકારાની લાગણી પ્રસરી ગઇ છે. આ સાથે જ વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. નિલોફર હવે વધુ નબળુ પડી સિવિયર સાઇકલોનમાંથી માત્ર સાઇકલોનમાં ફેરવાઇ ગયું હતું. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, તે આવતીકાલ સુધીમાં સાઇકલોનનું સ્ટેટસ પણ ગુમાવી દેશ અને માત્ર હવાના હળવા દબાણમાં ફેરવાઇ જશે.

હાલના વાતાવરણની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વાવાઝોડું નલીયાથી 400 કિ.મી જેટલું દૂર છે. નિલોફર વાવાઝોડું વધુ નબળું પડ્યું છે. ગઇકાલની વાત કરવામાં આવે તો પવનની ઝડપ 130 કિ.મી પ્રતિ કલાકની હતી, જે આજે ઘટીને 90 કિ.મીની થઇ ગઇ છે. જ્યારે આગામી 24 કલાકમાં કચ્છના દરિયાકાંઠાને જ્યારે તે સ્પર્શશે ત્યારે પવનની ઝડપ 60 કિ.મીની અંદર રહે તેમ માનવામાં આવી રહ્યું છે. જેનાથી નુક્શાન થવાની સંભાવનાઓ નહીંવત સમાન છે.
હવામાન વિભાગ દ્વારા ખતરો ટળી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હોવા છતાં પણ વહીવટી તંત્ર કોઇ જોખમ લેવા તૈયાર નથી અને તે હજુ પણ એલર્ટ અવસ્થામાં છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. કચ્છના નલીયા પાસેના 24 ગામોમાં 3 હજાર જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો જામનગરમાં 235 લોકોને સમાલત સ્થળે લઇ જવામાં આવ્યા છે. જામનગર-રાજકોટ માર્ગ પરથી 16 જેટલા જોખમી હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા છે. તેમજ સોમનાથ વેરાવળ વિસ્તારમાં જરૂર પડ્યે 13 હજાર લોકોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. માહિતી અનુસાર નવલખી બંદરે નંબર ત્રણનું સિગ્નલ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
