દાંડી હેરિટેજ રૂટ પ્રોજેક્ટ સંદર્ભમાં નીતિન પટેલ ગડકરીને મળ્યા
ગાંધીનગર, 5 જૂન : વર્ષોથી અટવાયેલા રહેલા દાંડી હેરિટેજ રૂટ પ્રોજેક્ટ માટે આજે ગુજરાતના માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળ્યા હતા. આ મુલાકાતમાં પટેલે કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીને પ્રોજેક્ટથી માહિતગાર કર્યા હતા અને આ પ્રોજેક્ટને કેવી રીતે આગળ વધારવો તે અંગે ચર્ચા કરી હતી.
આ બેઠક અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રોજેક્ટને ઝડપથી પુરો કરવા માટે હવે ગુજરાતના અધિકારીઓ અને કેન્દ્રના સંબંધિત અધિકારીઓ વચ્ચે બેઠક યોજાવાની છે.
ગુજરાતમાં અમદાવાદથી દાંડી સુધીના રૂટને હેરિટેજ રૂટ બનાવવા માટે મનમોહન સિંહની યુપીએ સરકારે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ માટે કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ઓથોરિટીને રૂપિયા 150 કરોડના ખર્ચે 19 કામો કરવા મંજૂરી પણ આપી હતી. આ કાર્યો પુરા કરવાની જવાબદારી ગુજરાત સરકારને સોંપવામાં આવી હતી. ગુજરાત સરકારે પોતાનું કામ પુરું કર્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આગળ કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.
હવે જ્યારે દિલ્હીમાં તખ્તો પલટાયો છે અને ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકાર આવી છે ત્યારે આ અધુરી યોજના પર ઝડપથી કામ શરૂ થાય અને આવતા વર્ષે દાંડી કૂચની તારીખ સુધીમાં કોઇ નક્કર કામ કરીને દર્શાવી શકાય તે માટે નીતિન પટેલે દિલ્હી જઇને ગડકરી સાથે બેઠક યોજી હતી.