જ્યારે CM રૂપાણીથી નાની ખુરશી જોઇ ભડક્યા નીતિન પટેલ
વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચેનો વિખવાદ આવ્યો સૌ સામે સીએમ રૂપાણી કરતાં નાની ખુરશી બાબતે ભડક્યા નીતિન પટેલ આ અંગે વધુ વાંચો અહીં...
ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ વચ્ચેનો આતંરિક વિખવાદ પૂર્ણ થવાનું નામ નથી લેતો. એથી પણ વધુ આશ્ચર્યજનક બાબત છે કે, જે વાતો અત્યાર સુધી પડદા પાછળ હતી એ હવે જાહેરમાં બનતા પ્રસંગોને કારણે લોકોને આંખે ઊડીને વળગી રહી છે. પહેલા ખાતાની ફાળવણી મામલે નાયબ મુખ્યમંત્રી નારાજ હતા અને તેમણે ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય એક પત્રકાર પરિષદમાં નાની ખુરશી મળતાં તેઓ ભડકી ઉઠ્યા હતા. શપથ લીધા બાદ યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં નીતિન પટેલને સીએમ વિજય રૂપાણી કરતાં નાની ખુરશી આપવામાં આવી હતી, જે અંગે નીતિન પટેલે આપત્તિ વ્યક્ત કરી હતી. આથી મુખ્યમંત્રીના સ્ટાફે નીતિન પટેલની ખુરશીની ઊંચાઇ વધારવા વિનંતી કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેનો વિખવાદ હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં ભાજપ બે જૂથોમાં વહેંચાઇ ગયું હોય એમ લાગી રહ્યું છે. એક જૂથમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વિજય રૂપાણી છે, તો બીજા જૂથમાં નીતિન પટેલ અને તેમના સમર્થકો છે. ખાતાની ફાળવણી દરમિયાન નીતિન પટેલની સ્પષ્ટ નારાજગી નાણાં વિભાગ ન મળવાને કારણે હતી. તેમની માંગણી હતી કે, નાયબ મુખ્યમંત્રીના પદને શોભે એવા ખાતા તેમને આપવામાં આવે. ખાતા ફાળવણીમાં સૌરભ પટેલને નાણાં વિભાગ આપવામાં આવ્યો હતો અને નીતિન પટેલને ચિકિત્સા, શિક્ષણ વગેરે જેવા ખાતા આપવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ધારેલી બેઠકો મળી નથી. ભાજપને મળેલ 99 બેઠકોમાં 30 ટકા ધારાસભ્યો પાટીદાર સમાજના છે. એવામાં નીતિન પટેલની માંગણી સ્વીકાર્યા વિના અમિત શાહને છૂટકો નહોતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા કેરળના આઈએએસ અધિકારી કૈલાશનાથનને ફરી દિલ્હીનું તેડું આવે એવી શક્યતા છે. કહેવાઇ રહ્યું છે કે, નિવૃત્તિ બાદ તેમને ગુજરાતના મુખ્ય સચિવનું પદ સોંપવામાં આવશે.