હવે CBI ઈશરત કેસ પણ ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાની પેરવીમાં?
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સોહરાબુદ્દીન કેસ, કૌશરબી કેસ અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે સીબીઆઈ દ્વારા બહુચર્ચિત ઈશરત કેસને પણ મુંબઈ ટ્રાન્સફર કરવા માટે પ્રયાસો કરી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઈશરત જ્હાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરતા ડીવાયએસપીને ધમકી આપવામાં આવી છે, જેના પગલે સીબીઆઈ દ્વારા આ મામલે કેન્દ્રના ગૃહ વિભાગ તથા ગુજરાત સરકારને પત્ર લખીને રજૂઆત કરાઈ છે કે તપાસનીશ અધિકારીના સુરક્ષાના હેતુથી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે તો તપાસનીશ અધિકારી ઉપર રહેલું જાનનું જોખમ હળવું થાય.
આ રજૂઆતમાં નોંધપાત્ર બાબત એ છે કે સીબીઆઈ દ્વારા તપાસનીશ અધિકારીને ધમકી મળી હોવાની રજૂઆત કરાઈ છે, પરંતુ સીબીઆઈ દ્વારા કોણે, ક્યારે, ક્યાંથી ધમકી આપી છે તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ રજૂઆતમાં કરાયો નથી. આ કેસમાં સીબીઆઈ દ્વારા સંભવત 4 જુલાઈની આસપાસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ જાય તે પછી કેસને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરવામાં આવે તેવી સંભાવના છે.