ગુજરાતમાં CAA-NRC એક્ટ લાગૂ કરાશેઃ સીએમ વિજય રૂપાણી
ગુજરાતમાં CAA-NRC એક્ટ લાગૂ કરાશેઃ સીએમ વિજય રૂપાણી
અમદાવાદઃ આજે નાગરિકતા સંશોધિત કાયદો-2019ના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન ઉગ્ર બન્યાં. બેંગ્લોરથી લઈ દિલ્હી સુધી અને તણાવયુક્ત માહોલ સર્જાયો હતો. ગુજરાતમાં પણ અમદાવાદમાં સજ્જડ બંધ પડાયો હતો અને પ્રદર્શનો ઉગ્ર થયાં હતાં. આ બધાની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં પણ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી) સાથે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 લાગૂ કરવામાં આવશે.
પત્રકારો સાથે વાતચીત કરતા વિજય રૂપાણીએ કહ્યું કે દેશનાં બધાં રાજ્યો એનઆરસી સાથે સીએએ કાયદો લાગૂ કરવા માટે બંધાયેલા હોય ગુજરાતમાં પણ આ કાનૂનો લાગૂ કરાશે. વધુમાં સીએમ રૂપાણીએ ઉમેર્યું કે, "અગાઉ જ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નાગરિકતા સંશોધિત કાનૂનના પ્રાવધાનોથી દેશના એકેય નાગરિકને તકલીફ નહિ થાય."
સાથે જ વિજય રૂપાણીએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર આંદોલનને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. નાગરિકતા સંશોધન બિલ પાસ થયું ત્યારથી જ દેશભરમાં વિરોધના સૂરો ઉઠતા થઈ ગયા હતા અને આજે દેશભરમાં આંદોલનો ઉગ્ર બન્યાં છે. આજે અમદાવાદમાં થયેલા ઉગ્ર આંદોલન વચ્ચે અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારમાં પોલીસ પર ભેગી થયેલી ભીડે હુમલો કરી દીધો હતો.
જણાવી દઈએ કે બિન-એનડીએ સરકારો ધરાવતા રાજ્યો દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ પશ્ચિમ બંગાળના મમતા બેનરજી, કેરળના પિનારાયી વિજયન, પંજાબના અમરિંદર સિંહ, મધ્ય પ્રદેશના કમલનાથ, છત્તીસગઢના ભૂપેશ બઘેલ, દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના અશોક ગેહલોતે કહ્યું કે તેઓ પોતાના રાજ્યોમાં આ કાયદાને લાગૂ નહિ થવા દે.
CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર