1000 NSUIના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
દેશવિરોધી તથા આતંકવાદ તરફી કોંગ્રેસની નીતિરીતિઓથી નારાજ આ તમામ કાર્યકરોએ આજે મંગળવારે ભારતીય જનતા પાર્ટીનો પૂરી તાકાતથી મક્કમપણે સાથ આપવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેમને પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિકભાઈ પટેલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
એન.એસ.યુ.આઇના પૂર્વ અગ્રણી અને આજે ભાજપામાં જોડાનાર વનરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી કાર્યકર કે ઉમેદવાર બનવા માટે યુથ કોંગ્રેસની ચૂંટણીઓમાં કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને જે નાણાં દિલ્હી મોકલવામાં આવે છે, તેનો કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીએ હિસાબ આપવો જોઇએ.
યુથ કોંગ્રેસમાં ચૂંટાતા મોટા ભાગના હોદ્દેદારોમાં પરિવારવાદને તથા વ્હાલા - દવલાની નીતિને જ પ્રોત્સાહન અપાય છે. ગુણવત્તાને વિસારે પાડી દેવાઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતની સફળ પરિષદોના જયારે કરોડો રૂપિયાનું રોકાણ કરવાના ઔદ્યોગિકગૃહો દ્વારા ગુજરાત સરકાર સાથે કરારો થયા, ત્યારે આ ઔદ્યોગિક ગૃહોને ઇન્કમટેક્સ તથા અન્ય સરકારી મશીનરીનો કેન્દ્રીય ધોરણે દુરુપયોગ કરાવીને ગુજરાતના વિકાસના કાર્યોમાં અંતરાયો ઉભા કરવા માટે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા તથા શક્તિસિંહ ગોહિલ પણ એટલા જ જવાબદાર છે. જેની ગુજરાતની જનતાને આવનારા દિવસોમાં કોંગ્રેસે ભારે કિંમત ચૂકવવી પડશે તેવુ વનરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું.