ઓ પી કોહલી ગુજરાતના નવા રાજ્યપાલ નિમાયા
ગાંધીનગર, 14 જુલાઇ : ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે ઓ પી કોહલીની નિમણૂંક થઇ છે. ગુજરાતના રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલની મિઝોરમ ખાતે બદલી થયાં બાદ તેમના સ્થાને ભાજપના વરિષ્ઠ નેતા ઓ.પી. કોહલીની નિમણૂંક થઇ હોવાનું ટેલિવિઝન ન્યુઝ ચેનલના અહેવાલો જણાવી રહ્યા છે.
ટીવી રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયે ઓપી કોહલીના નામ પર મંજૂરીની મ્હોર મારીને તેને પીએમઓમાં મોકલી આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ પણ બ્રાઝિલ જતા પહેલા તેને મંજૂરી આપી દીધી હતી. હાલ ગુજરાતના રાજ્યપાલનો હવાલો રાજસ્થાનના ગવર્નર માર્ગારેટ માર્ગારેટ આલ્વા પાસે છે. નોંધનીય છે કે કોહલી ભાજપના નેતા છે.
આજે રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ પી કોહલીના નામની જાહેરાત સાથે અન્ય ત્રણ રાજ્યોના રાજ્યપાલોના નામની જાહેરાત પણ કરી છે. જાહેર થયેલા નામ અનુસાર ઉત્તર પ્રદેશમાં રામ નાઇક, છત્તીસગઢમાં બલરામજી ટંડન અને પશ્ચિમ બંગાળમાં કેસરીનાથ ત્રિપાઠી રાજ્યપાલ બનશે.
દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ શિક્ષક કોલલીના ટ્વીટ્સ અને તેમના બ્લોગ્સ પરથી જાણવા મળે છે કે તેમને શિક્ષણ અને યુનિવર્સિટી બાબતોમાં વધારે રસ છે. કોહલીએ ટ્વીટર પ્રોફાઇલમાં જણાવ્યું છે કે તેઓ વર્ષ 1991થી ભાજપ સાથે સંકળાયેલા છે.