એક સપ્તાહમાં એક લાખ મુસ્લિમો ગુજરાત ભાજપમાં જોડાશે
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાએ પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો સદ્દભાવના સંદેશ દેશના બીજા રાજયોમાં લઇ જવા તૈયારીઓ શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ભાજપ તરફે આકર્ષવા માટે લઘુમતિ સેલના સભ્યો એક ખાસ અભિયાન ચલાવશે.
ગુજરાતની 6 કરોડની વસ્તીમાં 80 લાખ મુસ્લિમો છે. ભાજપ લઘુમતિ મોરચાએ ગુજરાતમાં મુસ્લિમોની સભ્ય નોંધણી શરૂ પણ કરી દીધી છે. હવે આ સભ્યો બીજા રાજયોમાં જશે અને મોદી માટે મુસ્લિમ સમુદાયનો ટેકો મેળવશે. આગામી 25મી સપ્ટેમ્બર પહેલા લઘુમતિ મોરચો એક લાખથી વધુ મુસ્લિમોને ભાજપ સાથે જોડવા માંગે છે. આ માટેના અભિયાનની શરૂઆત આજથી થઇ છે. આ એક લાખ મુસ્લિમોને ગુજરાતમાંથી ભાજપમાં જોડવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ મહેબુબ અલી બાવાનો દાવો છે કે હાલ મુસ્લિમ સમુદાયના 40,000 પ્રાથમિક સભ્યો છે. અમારી પાસે 7000 સક્રિય સભ્યો અને વિવિધ સ્વરાજયની સંસ્થાઓમાં 245 ચૂંટાયેલા સભ્યો છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમ સમુદાયના ચૂંટાયેલા ભાજપના સભ્યો કોંગ્રેસ કરતા વધારે છે. તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ રમખાણો અને મુસ્લિમો અંગે ખોટો પ્રચાર કરે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો વિકાસ અને ગુજરાતમાં મુસ્લિમોની સમૃધ્ધિ અને સુરક્ષા-સલામતી અંગેની વાત દેશના બીજા ભાગો સુધી લઇ જવામાં આવશે.
ભાજપ પણ મુસ્લિમોને આકર્ષવા માટે એક વિઝન ડોકયુમેન્ટ પણ તૈયાર કરી રહેલ છે. આ વિઝન ડોકયુમેન્ટની વિગતો દેશભરના મુસ્લિમોને આપવામાં આવશે અને કોંગ્રેસ અને બીજા પક્ષો મોદીને મુસ્લિમ વિરોધી ગણે છે તે સદંતર જુઠુ છે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.