મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગર જિલ્લાના ડેડિકેટેડ EVM વેરહાઉસનું કર્યું આંતરિક નિરીક્ષણ
ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી. ભારતી (આઈ.એ.એસ) દ્વારા તા.30 જૂનના રોજ ગાંધીનગર જિલ્લાના ડેડિકેટેડ EVM વેરહાઉસનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વેરહાઉસના આંતરિક નિરીક્ષણમાં રાજ્યના EVM નોડલ ઑફિસરશ્રી પંકજ પંચાલ તથા ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયા (આઈ.એ.એસ) પણ જોડાયા હતા.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા મતદાન માટે EVM અને VVPATનો ઉપયોગ કરવામાં આવે છે. પારદર્શક ચૂંટણીઓમાં સૌથી મહત્વનું પાસું ગણાતા EVM અને VVPATના યોગ્ય સંગ્રહ અને સુરક્ષા માટે દરેક જિલ્લામાં ડેડિકેટેડ EVM વેરહાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 24X7 સી.સી.ટી.વી કેમેરા, પોલીસ સુરક્ષા તથા ફાયર સેફ્ટી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
EVM અને VVPATની વ્યવસ્થિત જાળવણી સુનિશ્વિત કરવા દર મહિને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા ડેડિકેટેડ EVM વેરહાઉસનું બાહ્ય તથા દર ત્રણ મહિને આંતરિક નિરીક્ષણ કરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર હવેથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા દર ત્રણ મહિને કોઈપણ જિલ્લાના ડેડિકેટેડ EVM વેરહાઉસનું આંતરિક નિરીક્ષણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
