ભાનુભાઇનો મૃતદેહને ન સ્વીકારી પરિવારે કર્યો વિરોધ, ઉંઝા-પાટણનો રોડ બંધ કરાયો
પાટણમાં ભાનુભાઇના મોતના પગલે ઠેર ઠેર વિરોધ. ઉંઝા-મહેસાણાનો રસ્તો બંધ કરવામાં આવ્યો. પરિવારે પણ તેમનો મૃતદેહ ના સ્વીકારી કર્યો વિરોધ. વધુ જાણો આ સમાચાર અંગે અહીં.
પાટણમાં જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પોતાને આગ ચાંપીને આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. જેના પગલે ગુજરાતમાં ઠેર ઠેર આ વાતનો રોષ જોવા મળી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરના મૃતદેહને તેમના પરિવારજનોએ સ્વીકારવાની ના પાડી છે. સાથે જ આ અંગે ન્યાયની માંગણી કરી છે. વધુમાં તેમની મોતના વિરોધના પગલે મહેસાણા, ઉંઝા-પાટણના રોડ બંધ કરવામાં આવ્યા છે. ઉંઝા-વિસનગર, ઉંઝા-મહેસાણા રૂટ પર દોડતી એસ.ટી.બસની સેવા પણ બંધ કરવામાં આવી છે. વધુમાં ઉંઝાનો રોડ બંધ કરતા આ રોડ પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી છે. અને વિરોધ પેટે લોકો દ્વારા એસ.ટી બસોને થંભાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તેમની મોત પછી ઓઢવ વિસ્તારમાં લોકોએ ટાયર બાળીને આ વાતનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ પાટણમાં પણ દલિત સમાજ દ્વારા રેલી નીકાળીને આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ પાટણની દુકાનો પણ બંધ કરવામાં આવી હતી. સાથે જ હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી પણ ભાનુભાઇ વણકરના નિધન પછી પહોંચ્યા ગાંધીનગર સિવિલ હોસ્પીટલ પહોંચ્યા હતા. અને તેમણે પરિવારજનોની સાથે મુલાકાત કરીને ન્યાય આપવવાની વાત કરી હતી. ઉંઝામાં પણ ભાનુભાઇ વણકરના નિધન બાદ મહિલાઓએ રસ્તા પર છાજિયા લઇને વિરોધ વ્યક્ત કર્યો હતો.