પાટીદાર અનામત આંદોલન ફરીથી શરૂ કરવાના મૂડમાં હાર્દિક પટેલ
ગુજરાતમાં ફરીથી આંદોલનનો દોર શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 2015થી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને હાર્દિક પટેલ દ્વારા નવેસરથી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ફરીથી આંદોલનનો દોર શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 2015થી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને હાર્દિક પટેલ દ્વારા નવેસરથી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાટીદાર અનામત આંદોલનને ધમધમતું કરવા માટે હાર્દિક પટેલના નેતૃત્વમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર આંદોલનને ફરીથી જીવંત કરવા આ વખતે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરી ફરીથી પાટીદાર અનામતની હાકલ કરવામાં આવશે. પાટીદાર આંદોલન જે વિધાનસભાની ચૂંટણી પહેલાં સુસ્ત થયું છે તે ફરીથી જીવંત કરવાનો હાર્દિક પટેલ પ્રયાસ કરી રહ્યા છે.
ધાંગધ્રા નજીક યોજાશે પાટીદાર ન્યાય પંચાયત
આગામી 26 મેના રોજ અમદાવાદ નજીક ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર ન્યાય મહાપંચાયત અંગે હાર્દિક પટેલે યુવાનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરી છે. મોટી મોલવણમાં સાંજે સાત વાગ્યે પાટીદાર ન્યાય મહાપંચાયત રાખવામાં આવી છે. આ આંદોલનમાં હાર્દિક પટેલ પાટીદાર આંદોલન કેમ બંધ થઈ ગયું છે કે, કેમ અવળા પાટે ફંટાઇ ગયુ છે, તેવું કહેનારા લોકોને મહા પંચાયતમાં ખાસ હાજરી આપવા અનુરોધ કર્યો છે.
હાર્દિક સરકારને આપશે અલ્ટીમેટમ
હાર્દિક પટેલની પાટીદાર ન્યાય મહાપંચાયતમાં પાટીદાર સમાજના મહત્વના મુદ્દા અંગે ગુજરાત સરકારને અલ્ટીમેટમ આપવામાં આવશે. હાર્દિકે કહ્યું કે પાટીદારો પર થયેલા પોલીસ દમનની તાપસ માટે નિમાયેલા પુંજ તપાસ પંચની રચના ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કરેલી છે. પાટીદાર સમાજને ન્યાય આપવામાં સરકાર દેખાડો કરી રહી હોવાનો આક્ષેપ હાર્દિકે કર્યો હતો. આ ઉપરાંત શરૂ કરાયેલ બિન અનામત આયોગની કામગીરીને વધુ સક્ષમ બનાવવા પણ પ્રકાશ પાડશે. હાર્દિકે કહ્યું કે પુંજ તપાસ પંચ ખરેખર તો નારાજ પાટીદારોને મનાવવા માટેની એક લોલીપોપ છે, બીજુ કંઇ નહી.
જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોલીસ દમનમાં મુખ્ય સૂત્રધાર તો અમીત શાહ જ છે. જે વખતે ધમાલ થઈ હતી તેમાંના કેટલાક અધિકારીઓનું પ્રમોશન થયું છે તો, કેટલાક દિલ્હી બેઠા છે. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો. પંચોને બોલાવાયા હતાં પરંતુ પંચો હાજર રહી શકયા ન હતા. તેથી હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે.
પાટીદાર આંદોલનના કન્વિનરો સાથે મીટીંગ
સુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મીટીંગોમાં તેઓ હાજર રહીને ફરીથી ભાજપ વિરુધ્ધ રણનીતિ ઘડતાં હોવાનો તેણે ઘટસ્ફોટ કર્યો હતો. મહાપંચાયતના અનુસંધાનમાં હાર્દિકે તેના નિવાસે પાટીદાર આંદોલનના કન્વિનરો સાથે મીટીંગ પણ આયોજિત કરી હતી.
રાજદ્રોહના કેસ પાછા ખેંચવા માંગ કરાશે
હાર્દિક પટેલે કહ્યું કે ન્યાય પંચાયતમાં પાટીદાર યુવાનો પર દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવશે. જે લોકો મને ખોટો કહે છે તે લોકો ભાજપમાં કેમ જોડાઈ ગયા છે. પાટીદાર આંદોલન બાદ સરકારે એક હજાર કરોડની સ્વાવલંબન યોજના અને બિન અનામત વર્ગ માટે આયોગ બનાવ્યો છે. આ બધું આંદોલનના પરિણામ સ્વરૂપ છે. આ ઉપરાંત સરકારી નોકરીમાં પાંચ વર્ષની મર્યાદા પણ આંદોલનના કારણે જ વધી છે.
લોકસભા ચૂંટણી પહેલાં આંદોલનો થઇ શકે
હાર્દિક પટેલ હવે ફરીથી વિધાનસભા ચૂંટણી બાદ સુસ્ત થઈ ગયેલા પાટીદાર આંદોલનને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, લોકસભાની ચૂંટણી પહેલાં ફરીથી ગુજરાતમાં સામાજિક આંદોલનની ભરમાળ શરૂ થાય તેમજ, આંદોલનની આગ સરકાર સુધી પહોચે તો નવાઈ નહી.