PM મોદીની અક્ષરધામ મુલાકાત પહેલાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગુરૂવારે પીએમ મોદી ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરની રજત જયંતિ પ્રસંગે ખાસ હાજર રહેનાર છે, ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ગુરૂવારે અક્ષરધામની રજત જંયતી પ્રંસગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપવા માટે ગાંધીનગર આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદ પોલીસે સુરક્ષાને ધ્યાનમાં લઇને અંદાજે 2000 જેટલા પોલીસ જવાનોને ખડે પગે ફરજ પર હાજર કરી દીધા છે, જે પૈકી 1200 જેટલા પોલીસ જવાન ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ 800 પોલીસ જવાનો અમદાવાદ એરપોર્ટથી કોબા સર્કલ ખાતે ફરજ બજાવશે. ગુરૂવારે બપોરે 12 વાગ્યાથી તમામ પોલીસને બંદોબસ્ત માટે સ્ટેન્ડ ટુ કરાયા છે, જેમાં એરપોર્ટથી અક્ષરધામના રસ્તા પર ખાસ સુરક્ષા વધારવામાં આવી છે.
બીએપીએસના સુત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા બન્યા, ત્યારથી પ્રમુખ સ્વામીની નજીક હતા અને દિલ્હી અક્ષરધામના શિલાન્યાસ સમયે પણ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષ લાગણથી તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે અક્ષરધામના રજત જંયતિ પ્રસંગે તેમની હાજરી માત્ર એક વડાપ્રધાન તરીકે જ નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના સૌથી નજીકના ગણાતા વ્યક્તિ તરીકે પણ મહત્વની બની રહેશે. પીએમ નરેન્દ્ર મોદી અને પ્રગટ ગુરૂ હરિ મંહત સ્વામી અભિષેક મંડપમાં ભગવાન સ્વામી નારાયણની મૂર્તિ પર જળાભિષેક કરશે અને ત્યાર બાદ સભામાં જોડાશે. નરેન્દ્ર મોદી છ વાગે અક્ષરધામ ખાતે આવશે, રાતના આઠ વાગ્યા સુધી કાર્યક્રમાં હાજરી આપશે અને ત્યાર બાદ દિલ્હી પરત ફરશે. આ પ્રસંગે અમદાવાદ સહિત ગુજરાત તેમજ વિદેશના ભક્તો પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેશે.