લુણાવાડામાં જ્ઞાતિવાદ મુદ્દે મોદીના કોંગ્રેસ પર ચાબખા
લુણાવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભાષણ આપ્યું તે અંગે વિગતવાર વાંચો અહીં.
ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર મતદાન થઈ રહ્યું છે. 14મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કાના મતવિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓ તથા ઉમેદવારોનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના લુણાવાડામાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધી હતી. મોદીએ અહીં જ્ઞાતિવાદ સહિતના મુદ્દે કૉંગ્રેસ પર ચાબખા માર્યા હતા. કૉંગ્રેસ પર સત્તા માટે જ્ઞાતિવાદનું ઝેર ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. મોદીએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે, રાજસ્થાન, ઝારખંડ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં કૉંગ્રેસનો સફાયો થઈ ગયો છે. લોકો કૉંગ્રેસને સારી પેઠે જાણી ચૂક્યા છે અને એટલે જ તેઓ ફરી કૉંગ્રેસને તક આપવા માગતા નથી.
આ સિવાય વડાપ્રધાને જમ્મૂ-કાશ્મીરથી કોંગ્રેસના યુવા નેતા સલમાન નિઝામી દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતા અહીં પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ યુવા નેતા મને મારા માતા-પિતા કોણ છે એવું પુછે છે. તો હું જણાવી દઉં કે આ દેશ મારા પિતા અને મારી માતા છે અને હું ભારત માતાની સેવા કરવા માટે નીકળ્યો છું. આઝાદ કાશ્મીરની માંગ કરનારા અને દેશની સેનાને રેપિસ્ટ કહેનાર સલમાન નિઝામી ગુજરાતમાં આવીને કોંગ્રેસ માટે મત માંગી રહ્યા હોવાનો આક્ષેપ પણ મોદીએ કર્યો હતો. દેશની સેનાનું અપમાન કરનારા લોકોને વોટ અપાય કે ના અપાય એવા પ્રશ્નો પણ વડાપ્રધાને અહીં હાજર લોકોને કર્યા હતા.
કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, તામિલનાડુ, ઓરિસ્સા, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં પણ હારી ગઈ છે. ત્યારે તેમની હતાશા અને નિરાશા સાફ જોવા મળી રહી હોવાનો મોદીએ આક્ષેપ કર્યો. કોંગ્રેસ પાર્ટીમાં આટ-આટલા વડાપ્રધાન થઈ ગયા, 1000 જેટલાં તો પૂર્વ મુખ્યમંત્રીઓ છે. આટલા વર્ષો રાજ ભોગવ્યું હોવા છતાં આજે દેશની જનતા તેમને સારી રીતે ઓળખી ગઈ હોવાથી સમગ્ર દેશમાંથી તેમનું નામો-નિશાન મિટાવી દેવામાં આવ્યું હોવાનો દાવો પણ કર્યો. મોદીએ કહ્યું કે મેં વડાપ્રધાન બન્યાં બાદ દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ, પરંતુ હિન્દુસ્તાનની જનતાએ તો ખરા અર્થમાં સ્વચ્છતા શરૂ કરી દીધી છે. જેમને આ દેશમાં કોઈએ સ્વીકાર્યા નથી તેમને ગુજરાત થોડુંને સ્વીકારશે તેમ કહીંને વડાપ્રધાને આડકતરી રીતે લુણાવાડામાં હાજર લોકોને ભાજપના પક્ષમાં મત કરવા માટેની અપીલ કરી.