પુરવઠા વિભાગ અને પોલીસે ઘઉં ચોખા અને ખાંડ નો મોટો જથ્થો જપ્ત કર્યો
સીઆઇડી ક્રાઇમ અને પુરવઠા નિગમનું સંયુક્ત ઓપરેશન- પુરવઠા નિગમનો ચોખા, ઘઉ અને ખાંડનો મોટો જથ્થો જપ્ત કરાયો
સીઆઇડી ક્રાઇમના એસીપી બી પી પટેલ અને સ્ટાફને માહિતી મળી હતી કે કેટલાંક લોકો પુરવઠા નિગમની ચીજવસ્તુનો ગેરકાયદેસર રીતે જથ્થો કરી રહ્યા છે. જેમાં બાતમીને આધારે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓએ હરી દર્શન ચાર રસ્તા પાસે એક ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી ખાંડનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે પુછપરછ કરતા ડ્રાઇવર મહમદ શેખે જણાવ્યું હતું કે આ માલ રાકેશભાઇ નામના વ્યક્તિએ રાકેશ ઓઇલ મીલ ડેપોથી ભરી આપ્યો હતો અને નરોડામાં આવેલી મહાલક્ષ્મી મીલ ખાતે લઇ જવાનો હતો. જે જથ્થો પુરવઠા ડીપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરતા અન્ન અને નાગરિક પુરવઠા ડીપાર્ટમેન્ટનો હતો. જે ગરીબીની રેખા નીચે રહેતા લોકોને વિતરણ કરવા માટે હતો. ત્યારબાદ વિભાગ દ્વારા મહાલક્ષ્મી મીલ ખાતે તપાસ કરતા ત્યાંથી કુલ 280 બોરી મળી આવી હતી. જેમાં ઘઉ, ચોખા અને ખાંડનો મોટો જથ્થો હતો.
બાદમાં તપાસ કરતા બાતમી મળી હતી કે મહાલક્ષ્મી મીલની બાજુમાં આવેલા મહાસરસ્વતી પ્રોડક્ટ એસ્ટેટમાં પણ ઘઉનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે રાકેશ ઓઇલના માલિક રાકેશભાઇ શાહ, ડ્રાઇવર મહમંદ શેખ અને મથુરદાસ મહેશ્વરીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને આઇપીસીની 465 અને 120 અને આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 અને 7 હેઠશ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ માની રહી છે કે ઝડપાયેલા આરોપીઓ પુરવઠા ડીપાર્ટમેન્ટનો જથ્થો બારોબાર લઇને તેનું વેચાણ કરતા હતા. જેમાં પુરવઠા વિભાગના અધિકારીઓની સંડોવણીની શક્યતા પણ પોલીસ તપાસી રહી છે.

આ અંગે પુરવઠા ડીપાર્ટમેન્ટના અધિકારી ભરતકુમાર કટારાએ જણાવ્યું કે અમે અંદાજે 2 લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે અને જપ્ત કરાયેલો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાં સપ્લાઇ કરવાનો હતો પણ આ જથ્થો સસ્તા અનાજની દુકાનમાં પહોંચે એ પહેલા જ આરોપીઓ બારોબાર લઇને તેને સગેવગે કરતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં સાત માસથી આ રેકેટ ચલાવવામાં આવતુ હતુ અને અન્ય વેપારીઓ પણ આ રેકેટમાં સામેલ હોવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
