Radhanpur Assembly Seat: અલ્પેશના દગા પછી ફરી કોંગ્રેસ આ સીટ જીતી શકશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની બેઠકો પર બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. ત્યારે, પાટણ જિલ્લાની રાધનપુર બેઠકના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક ઠાકોર મતદારોના વર્ચસ્વની બેઠક માનવામાં આવે છે. રાધનપુર બેઠક પરથી પક્ષ પલટો કરનારને જનતાએ જાકારો આપનારી રહી છે.
રાધનપુર બેઠકના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક હારીજ, સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા મતવિસ્તારમાં કૂલ 3.03 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં, 1.57 લાખ પુરૂષ મતદારો નોંધાયેલા છે. જ્યારે, 1.46 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કૂલ 326 મતદાન મથકો નોંધાયેલા છે.
રાધનપુર વિધાનસભા બેઠકના જાતિગત સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ વિધાનસભામાં 70 હજારથી વધુ ઠાકોર મતદારોનું પ્રમાણ છે. આ ઉપરાંત 25 હજાર ચૌધરી પટેલ મતદારો અને 22 હજાર જેટલા દલિત મતદારો નોંધાયેલા છે. આ ઉપરાંત મુસ્લિમ અને રબારી સમાજના મતદારો પણ નિર્ણાયક છે. ઇત્તર સમાજના મતદારોમાં નાડોદા રાજપૂત અને આહીર, પ્રજાપતિ, લોહાણા, બ્રાહ્મણ મતદારોનો સમાવેશ થાય છે.
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ચૂંટાયા હતા. તેમણે ભાજપના લવિંગજી ઠાકોરને પરાસ્ત કર્યા હતા. ત્યારે, અલ્પેશ ઠાકોર ભાજપમાં આવી જતાં ફરીથી 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ સામે ભાજપના અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્થાનિક નેતા લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો, કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ છે. આમ આદમી પાર્ટીમાંથી લાલજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.