લ્યો...પંજાબના મુખ્યમંત્રી પણ મોદીએ આપેલી ગીરની ગાયનું દૂધ પીવે છે
ગાંધીનગર, 9 સપ્ટેમ્બર: પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે આજે ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ-૨૦૧૩માં કિસાનોના સર્વતોમુખી વિકાસ માટે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આદરેલા આ મહાઅભિયાનની ભારે સરાહના કરતાં જાણાવ્યું કે, અમે પંજાબમાં આગામી ફસલની ઋતુમાં એટલે કે ફેબ્રુઆરી માસમાં નરેન્દ્ર મોદીની નકલ કરીશું. તેમણે આવી વૈશ્વિક પરિષદ દિલ્હીમાં કરવા મુખ્યમંત્રીને આહવાન પણ કર્યું હતું.
તેમણે હાસ્યની છોળો વચ્ચે જાણાવ્યું કે, મહાત્માં મંદિર જેવી ભવ્યાતિભવ્ય ઇમારતનું નિર્માણ કરવા પંજાબ જેવા ગરીબભાઇને ગુજરાત જેવા અમીર બંધુ મદદ કરે તો અમે પણ કિસાનોની સમુત્ક્રાંતિ માટે કંઇ કરી શકીએ. ધરતીપુત્રોની સમસ્યા- દુખઃદર્દ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ સમજી શક્યા છે, પરમાત્મા એમને વધુ શકિત ધરતીની સેવા કરવા આપે.
‘‘હું જ્યારે ગામ જાઉં છું ત્યારે મોદી સાહેબે મને આપેલી ગીરની ગાયનું દૂધ પીઉં છું.'' તેમણે હળવી શૈલીમાં જણાવ્યું કે ‘‘આ ગાય હવે વૃદ્ધ થઇ ગઇ છે, આશા છે મોદી સાહેબ હવે મને યુવાન ગાય આપશે.''
આવી પરિષદ સમગ્ર વિશ્વ માટે એક લાઇટ હાઉસ (દીવાદાંડી રૂપ) છે. આ ધરતી મહાત્માં ગાંધી, સરદાર પટેલ તથા સરદાર મોદીની ધરતી છે. એમ જણાવી તેમણે કેન્દ્ર સરકારના કિસાનો પરત્વે ‘‘સ્ટેપ મધરલી એટિટયુડ'' ની આલોચના કરી હતી.