સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈને અત્યાર સુધીમાં માત્ર ૨૪ કલાકમા જ ૧૦ હજારથી વધુ રજીસ્ટ્રેશ
કાર્યક્રમના મુખ્ય સ્થળ સોમનાથ ખાતે ૧૫ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમ માટે ગુજરાતી, હિન્દી અને તમિલ ભાષામાં ગવાયેલું થીમ સોંગ સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યુ હતુ.
ગુજરાતના સૌરાષ્ટ્રમાથી તમિલનાડૂમાં જઇને વર્ષો પહેલા વસેલા અને દધમાં સાકરની જેમ ભળી ગયેલા ગુજરાતીઓના લીધે તમિલ અને ગુજરાતી સંસ્કુતિ એક બીજાની પુરક બની ગઇ છે. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ તિમલ સંગમ કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચેન્નઈ ખાતે ગત ૧૯મી માર્ચે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમની જાહેરાત કરી તેના લોગો, થીમ સોન્ગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ થયાના ૨૪ કલાકમા ૧૦ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરી આ સંગમને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રસિદ્ધ ગાયક સુદેશ ભોસલે દ્વારા ગુજરાતી, હિન્દી અને તમિલ ભાષામાં ગવાયેલું સંગમનું થીમ સોંગ પણ સોશીયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યું છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત ૧૫ દિવસના આ પ્રવાસમાં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન બાદ સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે ગુજરાતમાં લાવવામાં આવશે. આ મહેમાનો ગુજરાતમાં સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જેવા સ્થળોની મુલાકાત લેશે. આ કાર્યક્રમના મુખ્ય સ્થળ સોમનાથ ખાતે ૧૫ દિવસ દરમિયાન કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ - વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
લગભગ ૬૦૦ થી ૧૦૦૦ વર્ષ પહેલાંના સમયગાળા વચ્ચે થયેલા આક્રમણોને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને અનેક લોકો તમિલનાડુના મદુરાઈની આસપાસના જિલ્લાઓમાં સ્થાયી થાય હતા, જે આજે પણ તમિલ સૌરાષ્ટ્રિયન તરીકે ઓળખાય છે. આ લોકોને ફરી પોતાના પૂર્વજોના વતન સાથે રૂબરૂ કરાવવા તેમજ ઉદ્યોગ, હાથ વણાટ, શિક્ષણ, સંસ્કૃતિ અને રમત-ગમતને આવરી લેવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ સદીઓના અંતરાલ પછી આ લોકોનું સૌરાષ્ટ્ર સાથેનું અનોખું પુનઃમિલન હશે, જે એક ઐતિહાસિક ઘટના હશે.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને મૂળથી મજબૂત બનાવી રહ્યા છે, એટલા માટે જ ગુજરાતના મૂળથી જોડાયેલા લોકો પોતાની કલા, સંસ્કૃતિ અને વેપાર લઇને અહીં આવશે ત્યારે ફરી નવા સંબંધોનું નિર્માણ થશે. સૌરાષ્ટ્રના લોકો જ્યાં ગયા ત્યાં પોતાના હાથવણાટની કલા લોકોને આપતા ગયા અને એ કલા આજે દક્ષિણ ભારતમાં ખુબ પ્રખ્યાત થઇ છે. આ કલાને એનું યોગ્ય વળતર અને મંચ મળે એ માટે પણ આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ ખુબ જ લાભદાયી થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, બે રાજ્યોની સંસ્કૃતિ અને કલા વારસાના આદાન-પ્રદાન માટે આથી વિશેષ કોઇ આયોજન ન થઇ શકે. આ એક ઉમદા ઉપક્રમ છે જે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્રને ન માત્ર એક કરશે પરંતુ બંન્નેના વાણીજ્ય, વિચાર અને સંસ્કૃતિના આદાન પ્રદાનનું એક અનોખુ કાર્ય કરશે.
ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, તમિલનાડુના ચેન્નઈ ખાતે આયોજિત લોગો અને પોર્ટલ લોન્ચ કાર્યક્રમમાં ત્યાં વસતા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોએ હજારોની સંખ્યમાં ભાગ લીધો હતો. ત્યાંની માતૃતુલ્ય મહિલાઓની આંખોમાં જે સત્કારનો હરખ દેખાયો તે અવર્ણનીય છે. જાણે કે વર્ષો પછી કોઇ ભુલાઈ ગયેલા વ્યક્તિને યાદ કરતા હોય એમ એ લોકોના ચહેરા ઉપર હરખ હતો. એ જ હરખથી એમને અમને પોંખ્યા અને અમારું સન્માન કર્યું. જે ભૂમિના કારણે એમની ઓળખ સૌરાષ્ટ્રીયન તરીકેની છે એ જ જગ્યા તેમને ફરી બોલાવી રહી છે એ વાત સાંભળીને એમની આંખો ભીની હતી, અમને આશીર્વાદ આપતા ત્યાં ઉપસ્થીત હજારો લોકોએ સંગમ પર્વમાં આવવાની ખાતરી આપી હતી. આટલી સંખ્યામાં લોકોનો ઉત્સાહ એમનો પ્રતિસાદ અને સંગમ પ્રત્યેનું માન જોઇને લાગ્યું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ખૂબ જ ઐતિહાસિક બની રહેશે અને વર્ષો સુધી લોકો આ સંગમની ચર્ચા કરશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આયોજનના ભાગરૂપે તમિલનાડુના અલગ અલગ ક્ષેત્રોમાં રોડ શૉનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પંદર દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશન આવી રહ્યા છે ત્યારે આ ઉત્સવની સફળતા અત્યારથી દેખાઇ રહી હોય એવું લાગી રહ્યું છે.
વર્ષ ૨૦૦૬માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સંગમના બીજ રોપાયા હતા. વર્ષ ૨૦૦૬માં જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વ હેઠળ તમિલનાડુના એક પ્રતિનિધિમંડળે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. મદુરાઈમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તેઓ આજે જ્યારે વડાપ્રધાન પદ ઉપર છે ત્યારે આ માત્ર યુનિવર્સિટીની મુલાકાત ન રહી જતા સમગ્ર દેશ આ એકતાનો સાક્ષી બને એવો વિચાર એમને પોતાના મંત્રી મંડળને આપ્યો હતો. જે અંતર્ગત આ બે પ્રાંત સહિત આ એકતાને નિહાળવા G20 અંતર્ગત અન્ય રાષ્ટ્રો પણ પોતાની હાજરી આપશે. G20ની પ્રેસિડન્સી સ્વિકારતા વડાપ્રધાનએ આ વર્ષે સમીટને "વસુધૈવ કુટુમ્બકમ્"નો મંત્ર આપ્યો છે. જે અંતર્ગત "એક પરિવાર, એક પૃથ્વી, એક ભવિષ્ય"ના વિચાર સાથે ઐક્ય ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.
"એક ભારત શ્રેષ્ઠ ભારત"ના સંકલ્પને સાકાર કરતો આ પર્વ તા. ૧૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં યોજવામાં આવશે. જેમાં ભાગ લેવા તમિલ સૌરાષ્ટ્રીયન લોકો, તમિલનાડુના લોકો આવશે અને સાથે સાથે ગુજરાતના લોકો પણ તેમાં હાજર રહેશે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
