રાજુ કરપડાને ગોપાલ ઈટાલિયાનો જવાબ, જાણો શું કહ્યું?
આમ આદમી પાર્ટી (AAP) છોડીને ગયેલા નેતા રાજુ કરપડાના આક્ષેપો સામે ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આકરો જવાબ આપ્યો છે. ઈટાલિયાએ જણાવ્યું કે કરપડાનો આ નિર્ણય સ્વેચ્છિક નથી, પરંતુ ભાજપના દબાણ અને કાનૂની મજબૂરીનું પરિણામ છે.
ગોપાલ ઈટાલિયાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે રાજુભાઈના ચહેરા પર આજે લાચારી અને ડર દેખાતો હતો. ભૂતકાળમાં જે નેતા ખેડૂતો માટે ગર્જના કરતા હતા, તેઓ આજે માત્ર ભાજપની લખેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ઈટાલિયાએ ખુલાસો કર્યો કે રાજુ કરપડા પર ત્રણ જેટલા કેસો ચાલી રહ્યા છે, જેની વિગતો તેમણે ચૂંટણી એફિડેવિટમાં પણ આપી હતી. કદાચ જેલમાં જવાની બીક અને સજાના ડરથી તેમણે આ રીતે પક્ષ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.
ખાસ વાત એ છે કે જે દિવસે કોર્ટમાં તેમના કેસનો અંતિમ ચુકાદો આવવાનો હતો, તે દિવસે તેઓ કોર્ટને બદલે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ઈટાલિયાએ સવાલ ઉઠાવ્યો કે ગાંધીનગરના કયા દબાણ હેઠળ તેઓ કોર્ટમાં હાજર રહ્યા નથી.
ઈટાલિયાએ વધુમાં જણાવ્યું કે આ લડાઈ માત્ર કોઈ વ્યક્તિગત નેતાની નહીં, પણ ગુજરાતના લાખો ગરીબ ખેડૂતોના હકો માટે હતી. રાજુ કરપડાએ જેલથી બચવા માટે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી હોય તેવું જણાય છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના ઈશારે કામ કરવું એ ખેડૂતોના નિસાસા લેવા સમાન છે, જે મોટું પાપ ગણાશે. કરપડાને કાનૂની મદદ ન મળી હોવાના તમામ આક્ષેપોને ઈટાલિયાએ પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.
ગોપાલ ઈટાલિયાએ સનસનાટીપૂર્ણ દાવો કર્યો કે કરપડા જેલમાં કયા IPS અધિકારીને મળ્યા અને ગાંધીનગરમાં કયા બંગલે મુલાકાત કરી તેની તમામ વિગતો તેમની પાસે છે. રાજકીય સોદાબાજી માટે આવા કૃત્યો ન કરવા જોઈએ.
અંતમાં તેમણે અપીલ કરી કે જો કોઈ વ્યક્તિગત નારાજગી હોય તો તે પક્ષમાં રજૂ કરવી જોઈએ. ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીને ગુજરાતની જનતા સાથે દગો કરવો એ કોઈપણ રીતે યોગ્ય ગણી શકાય નહીં.












Click it and Unblock the Notifications
