ગાંધીનગરમાં હર ઘર તિરંગાની થીમ સાથે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધાનુ આયોજન
ભારત સરકારના હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર રિજિયોનલ સેન્ટર,વડોદરા સાંસ્કૃતિક મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ''હર ઘર તિરંગા''ની હોંશભેર ઉજવણી સારું ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-૦૨, ખાતે ચિત્ર સ્પર્ધામાં અને સેક્ટર-૦૮ માં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. બંને શાળામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેક્ટર-૦૮ ખાતે ચિત્ર સ્પર્ધામાં ભારત દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહફાળો છે તેવા વિવિધ સ્વાંતંત્ર્ય સેનાનીઓની મુખાકૃતિની અને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને ખુબ સુંદર ચિત્રો બનાવ્યા હતા.

ચિત્ર સ્પર્ધામાં જજ તરીકે મનોજભાઈ જોષી તથા દિક્ષિતાબેન જોષીએ ૭ બાળકોના ખુબજ સુંદર ચિત્રોને ઈનામને પાત્ર ઠેરવતા ગાંધીનગર મનપા વોર્ડ -૧૦ના કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં નિશા, યુવરાજ, જય, કાવ્યા, રોશની, શ્વેતા અને ધનરાજને ઇનામો આપવામાં આવ્યા હતા.
સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-૨ ખાતે પરંપરાગત રંગોળી સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ હર ઘર તિરંગાની થીમને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની ખુબ સુંદર મૌલિક રંગોળીઓ બનાવી હતી. નિફટના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામ અને વસુધૈવ કુટુંમ્બક્મની ભાવનાને ધ્યાનમાં રાખીને વૈવિધ્યસભર આકર્ષક રંગોળી બનાવીને પોતાની કળાની ઓળખ આપી. જે સહુના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રંગોળી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આશાબેન સરવૈયા, નિલેશભાઈ સિધ્ધપુરા અને સંજયભાઈ થોરાટ એ સેવા આપી હતી. તેઓએ ખુબજ સુંદર રંગોળી બનાવનાર ૭ બાળકોને ઈનામને પાત્ર ગણતા, ગાંધીનગરના જાણીતા ધારાશાત્રી, નોટરી, સ્પે. પીપી અને કટાર લેખક અશ્વિનભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. રંગોળી સ્પર્ધામાં શિફા, વૈશાલી, અનામિકા, દશરથ, કાજલ, જાનકી અને ઉમેશને ઇનામો આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.મયુરભાઈ જોષીએ સ્વાગત પ્રવચનમાં હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામ વિશેની માહિત આપી હતી. બંને શાળાના બાળકોએ ચહેરા પર દેશભક્તિના ઝળક્તા ઉત્સાહ સહિત માટી હાથમાં લઇ સુવર્ણ ભારત બનાવવાના સંકલ્પ સાથે શપથ લઇને 'ભારત માતાકી જય' ના નારા લગાવ્યા હતા. બાદમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
