બે માસમાં શરૂ થશે પ્રાદેશિક હવાઇ સેવાઃ ગુજરાતમાં ઉડશે ‘મેહેર’
ગુજરાત વ્યાપારી ક્ષેત્રે ખુબ અગ્રગણ્ય છે અને રાજ્યના અગ્રણી ઉદ્યોગકારો તેમજ વેપારીઓ અમદાવાદથી સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જેવા સ્થળોએ અવારનવાર મુસાફરી કરતા હોય છે. રાજયના લોકો પણ પોતાના ધંધા રોજગાર અર્થે સમયનો બચાવ કરી તેમના વ્યાપાર ક્ષેત્રના કાર્યો ટૂંકા સમયમાં પૂર્ણ કરી શકે અને કેટલાક આકસ્મિક સંજોગોમાં પણ રાજયના દૂર-દૂરના એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેની મુસાફરી ઝડપી બને તે હેતૂસર રાજ્ય સરકારે એક મહત્વનું કદમ ભર્યું છે.
આ અંગે રાજ્યની ગુજરાત સ્ટેટ એવીએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લી. દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને મેરીટાઇમ એનર્જી હેલી એર સર્વીસીસ (મેહેર) કંપનીની પસંદગી કરી લેવામાં આવી છે. વળી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ સેવાઓના સમયને પણ ધ્યાને રાખી આવી પ્રાદેશિક હવાઇ સેવાના શીડ્યુલનું આયોજન કરવામાં આવશે. જેના કારણે દેશ-વિદેશમાંથી આવતા ઉદ્યોગકારોને કે વ્યાપારીઓને રાજયના મહત્વના સ્થળ સુધી ઓછા સમયમાં પહોંચવું સરળ બની રહેશે. જેથી તેમના સમય અને નાણાંની બચત થશે.
રીજીયોનલ એરલાઇનની સેવા પૂરી પાડવા માટે 9 થી 19 સીટની ક્ષમતાવાળા ઓછામાં ઓછા બે વિમાનોથી શરૂઆતના સમયમાં અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર, ભૂજ, કંડલા, કેશોદ, પોરબંદર, રાજકોટ જેવા શહેરોને સાંકળીને હવાઇ સેવા શરૂ કરવામાં આવશે. મેહેર કંપનીએ તેમના વિમાનો રાખવા માટે હાલના તબક્કે સુરત અને અમદાવાદ શહેરોની પસંદગી કરી છે. નજીકના ભવિષ્યમાં આ અંગેનું સમયપત્રક પણ નક્કી કરી લેવામાં આવશે. આમ ઉદ્યોગો અને આંતર માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રગતિ બાદ આંતરરાજ્ય હવાઇ સેવા શરૂ કરવા બાબતે પણ ગુજરાત રાજ્ય દેશમાં અગ્રેસર બનવા જઇ રહ્યું છે.