મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં બચાવ કામગીરી પુર્ણ, કુલ આટલા લોકોના મોત થયા!
મોરબીની મચ્છુ નદી પર બનેલી ગોજારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્રએ બચાવ કામગીરી પુર્ણ થઈ હોવાની જાહેરાત કરી છે. આ ઘટનામાં અત્યારસુધીમાં 135 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
મોરબી : મોરબીની મચ્છુ નદી પર બનેલી ગોજારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્રએ બચાવ કામગીરી પુર્ણ થઈ હોવાની જાહેરાત કરી છે. આ ઘટનામાં અત્યારસુધીમાં 135 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. રાહતના સમચાર એ છે કે હવે મચ્છુ નદીમાં કોઈપણ લાપત્તા નથી. એટલે કે હવે મૃત્યુઆંક વધવાની લગભગ કોઈ સંભાવના નથી. તંત્રએ પણ હવે કોઈ લાપત્તા ન હોવાની જાહેરાત કરી દીધી છે.
મોરબી જિલ્લા પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે કોઈ વ્યક્તિ ગુમ નથી. રેસ્ક્યુ ટીમ દ્વારા જીવિત કે મૃત તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગુમ થયેલી છેલ્લી વ્યક્તિ વિશે ખોટી માહિતી હતી. યોગ્ય વેરિફિકેશન બાદ પોલીસે તેના પર અંતિમ રિપોર્ટ જિલ્લા વહીવટીતંત્રને આપી દીધો છે.
મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પૂલ 230 મીટર લાંબો અને 1.25 મીટર પહોળો હતો. મોરબી રાજમહેલની બે ઈમારતોને જોડતો આ પૂલ 1880ના દાયકામાં તત્કાલિન મોરબીના પ્રશાસક વાઘજી ઠાકોરે બનાવ્યો હતો. ત્યારે આ બ્રિજ પરથી માત્ર 15 લોકો જ પસાર થઈ શકતા હતા.
આઝાદી પછી રાજ્ય સરકારે તે પુલના નવીનીકરણ માટે વચનો આપ્યા હતા. આ વર્ષે જ મોરબી નગરપાલિકા દ્વારા પુલને ઓરેવા કંપનીને તેની જાળવણી અને સંચાલન માટે સોંપવામાં આવ્યો હતો. ઘડિયાળો બનાવવા માટે જાણીતી ઓરેવા કંપની સાથે 7 માર્ચ 2022ના રોજ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. આ કરાર 15 વર્ષ માટે હતો. ઓરેવાની ફ્લેગશિપ કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે, જે 2008થી બ્રિજ સાથે સંકળાયેલી હતી. આ કરારમાં પુલની જાળવણી અને સંચાલનને આવરી લેવામાં આવ્યું હતું.
સમારકામ માટે છ મહિના બંધ રહ્યા બાદ 26 ઓક્ટોબર 2022 ના રોજ ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ફરીથી ખોલવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ઓરેવાના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે લોકો હવે ફૂટબ્રિજની મજા માણી શકશે અને આગામી 8-10 વર્ષ સુધી બ્રિજને કોઈ મોટા કામની જરૂર નહીં પડે. પરંતુ આ પુલ તૂટી પડતાં મોટી દુર્ઘટના બની હતી.