ગુજરાતમાં ઇદ અવસરે RSS સમર્થિત ઇફ્તાર પાર્ટીઓનું આયોજન
અમદાવાદ, 29 જુલાઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભલે રોજા ઇફ્તાર પાર્ટીના આયોજકો બન્યા ના હોય પરંતુ આ વખતની ઇદની ઇફ્તાર પાર્ટીને એક એવા સંગઠનનું સમર્થન મળ્યું છે કે જેની કોઇ કલ્પના કરી શકે તેમ નથી.
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સમર્થિત સંગઠન રાષ્ટ્રીય મુસ્લિમ મંચ (એમઆરએમ) દ્વારા અનેક ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છેકે આ ઇફ્તાર પાર્ટીઓમાં આરએસએસના અગ્રણી નેતાઓએ પણ હાજરી આપી હતી.
વર્ષ 2002માં આરએસએસના તત્કાલિન સરસંઘચાલક કે એસ સુદર્શનની પહેલ પર મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રચના કરવામાં આવી હતી. આ જ આરએમએમ દ્વારા આ વર્ષે ગુજરાતમાં અનેક ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરામાં 21 જુલાઇએ એક ઇફ્તાર પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના નેતા જયંતી બારોટ અને આરએસએસના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમાર હાજર રહ્યા હતા. હવે ઓગસ્ટ મહિનામાં ઇદ મિલનનો મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.