ભાગેડુ સાધ્વી જયશ્રીગીરીની રાજસ્થાન ખાતેથી ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનના નાથદ્વારા-ઉદેપુર ટોલનાકા પાસેથી સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરવામાં આવી હતી.
મુક્તેશ્વર મઠની વિવાદાસ્પદ આરોપી એવી સાધ્વી જયશ્રીગીરીની પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી હતી. ખંડણી અને છેતરપિંડી જેવા 9 આરોપોમાં સંડોવાયેલ સાધ્વીની રાજસ્થાનના નાથદ્વારા-ઉદેપુર ટોલનાકા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પાસિંગની લાલ કલરની ફોક્સવેગન ગાડીમાં સાધ્વી જયશ્રીગીરી જઇ રહી હતી. તેની સાથે ગાડીમાં એક ડ્રાઇવર અને એક 5 વર્ષનું બાળક પણ હતું.
14 જૂનના રોજ સાધ્વી જયશ્રીગીરી પોલીસની પકડમાંથી ફરાર થઇ ગઇ હતી. ત્યારથી પોલીસથી છુપાતી ફરતી સાધ્વીને મંગળવારે ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડી હતી. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, સાધ્વી નાથદ્વારાથી ઉદેપુર જવા રવાના થઇ છે. આથી પોલીસે તમામ ટોલબૂથના સીસીટીવી ફૂટેજની તપાસ આદરી હતી. આમાંથી એક સીસીટીવી ફૂટેજમાં સાધ્વી જયશ્રીગીરીની ઓળખ થઇ હતી. આ ફૂટેજમાં સાધ્વીનો ચહેરો તો બ્લર હતો, પરંતુ તેના દાંતના આધારે પોલીસે તેને ઓળખી કાઢી હતી.
અનેક ગુનામાં આરોપી સાધ્વી જયશ્રીગીરી 4 જૂનના રોજ પેરોલ પર છૂટી હતી, તેને મેડિકલ ગ્રાઉન્ડ પર 4 જૂનથી 14 જૂન સુધીની પેઇડ જામીન મળી હતી. જામીન પૂરા થતાં 14 જૂનના રોજ તે અમદાવાદના હિમાલયા મોલમાંથી નાસી છૂટી હતી. તેણે ભાગતાં પહેલાં હિમાલયા મોલમાં બાહુબલી 2 ફિલ્મ જોઇ હતી, બોડી મસાજ કરાવ્યું હતું, થોડી ખરીદી કરી હતી. આ દરમિયાન તેની સાથે બે પોલીસ કર્મચારી હાજર હતા, તે બાથરૂમ જવાના બહાને ત્યાંથી નાસી છૂટી હતી. સાધ્વી નાસી જતાં આ બંન્ને કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.