ગુજરાતમાં 26 નવેમ્બરથી શરુ થશે રાષ્ટ્રીય કક્ષાની સરદાર પટેલ પદયાત્રા, જાણો સંપૂર્ણ માહિતી
PM નરેન્દ્ર મોદીની પ્રેરણાથી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી, રાષ્ટ્રીય પદયાત્રા 26 નવેમ્બરે કરમસદથી શરૂ થઈને 06 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પૂર્ણ થશે, આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના 152 કિ.મી.ના રૂટ પર દરરોજ 15,000થી વધુ લોકો જોડાશે.

ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી, PM નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં 'સરદાર @ 150: યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર સાહેબના "આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું" - આ રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં એક ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
કરમસદથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધીની રાષ્ટ્રભક્તિની રાજમાર્ગ
સરદાર પટેલના જીવનના આદર્શોને ઉજાગર કરવા માટે આ રાષ્ટ્રીય પદયાત્રા તા. 26 નવેમ્બર (સંવિધાન દિવસ)ના રોજ સરદારના વતન કરમસદની પવિત્ર ભૂમિથી શરૂ થશે અને તા. 06 ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે આવેલી તેમની વિરાટ પ્રતિમા - સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે પૂર્ણ થશે.
- અંતર: કરમસદથી એકતાનગર વચ્ચેનું આશરે 152 કિલોમીટરનું અંતર હવે રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે.
- રૂટ: 11 દિવસ સુધી ચાલનારી આ યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓમાંથી પસાર થશે.
- સહભાગીઓ: આ ઐતિહાસિક યાત્રામાં પ્રતિદિન ભારત અને ગુજરાત સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ અને દેશભરમાંથી આવેલા યુવાનો સહિત અંદાજે 15,000થી વધુ દેશપ્રેમીઓ જોડાશે.
રાષ્ટ્રનિર્માણ અને સ્વદેશીના શપથ
આ પદયાત્રા માત્ર ચાલવા પૂરતી સીમિત નહીં રહે. રૂટ પર આવતા ગામડાઓમાં વિશેષ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
- સરદાર ગાથા સભા: પ્રત્યેક દિવસે બે ગામમાં 'સરદાર ગાથા સભા' યોજાશે, જેમાં નામાંકિત વક્તાઓ દ્વારા સરદાર સાહેબના આદર્શોથી નાગરિકોને માહિતગાર કરવામાં આવશે.
- રત્નોનું સન્માન: સભામાં ગામના સાચા રત્નો-વયોવૃદ્ધ વડીલો, પ્રગતિશીલ ખેડૂતો, સૈનિકો અને કુશળ કારીગરોનું સન્માન કરીને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવશે.
- સ્વદેશી શપથ: આ પ્રસંગે તમામ સહભાગીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે શપથ પણ લેવામાં આવશે.
- વિશેષ રથ: યાત્રામાં સરદાર સાહેબના જીવન આધારિત રથ તેમજ 'આત્મનિર્ભર ભારત / સ્વદેશી રથ' પણ જોડાશે.
'My Bharat' પોર્ટલના માધ્યમથી પસંદ કરાયેલા 150 'કાયમી પદયાત્રીઓ' શરૂઆતથી અંત સુધી આ યાત્રામાં જોડાશે અને આશ્રમજીવન મુજબ સ્વાવલંબનનું પાલન કરશે. આ યાત્રા ઇતિહાસના ગૌરવને વર્તમાનના પુરુષાર્થ સાથે જોડીને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારી એક મહત્ત્વપૂર્ણ કડી પૂરવાર થશે.












Click it and Unblock the Notifications
