ગુજરાત બલ્ક પાણી પુરવઠા યોજનાથી 5587 ગામ અને 116 શહેરોને લાભ
રાજકોટ, 4 એપ્રિલ: સૌરાષ્ટ્ર કચ્છના લોકોની પીવાના પાણીની મુશ્કેલીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે પાણી પુરવઠા વિભાગ હસ્તકની નર્મદા કેનાલ આધારીત સ્વર્ણિમ ગુજરાત બલ્ક પાઈપલાઈન યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા ૨૫૦૦ કરોડના ખર્ચે ત્રણ નવા પમ્પીંગ સ્ટેશનો બનાવી સૌરાષ્ટ્ર - કચ્છના લોકો સુધી બલ્ક પાઈપલાઈન મારફત પીવાનુ પાણી પહોંચાડવાનું આયોજનબધ્ધ કાર્ય કરવામાં આવ્યું છે.
આ અંગેની વિગતો આપતાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવશ્રી મહેશસિંધે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડવા માટે સરદાર સરોવર યોજનાની કેનાલ મારફત જુદા - જુદા ઓફટેક ઉપરથી પાણી મેળવી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. હાલમાં સરેરાશ ૧૫૦ કરોડ લીટર પાણી સૌરાષ્ટ્ર - કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોને વિતરણ કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ૩૬૧ કિ.મી. લંબાઈની પાઈપલાઈન દ્વારા ઢાંકી ખાતેથી પમ્પીંગ કરી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના ૪૭૧૦ ગામો અને ૧૦૨ શહેરો તથા કચ્છ જિલ્લાના ૮૭૭ ગામો અને ૧૪ શહેરોની કૂલ ૧૭૫ લાખથી વધુ વસ્તીને ૧૬૫ કરોડ લીટર નર્મદાનું પાણી દૈનિક ધોરણે આપવાનું આયોજન કરાયું છે.