ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનાર તત્વો સામે સરકારની લાલા આંખ
નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજ-વસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ખાદ્ય ચીજ-વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારની લાલ આંખ કરી હતી. નડીયાદમાં ચેકિગ દરમિયાન 12 મસાલા સેમ્પલ લઇને અંદાજે રૂ. 73,27,050 કિમતનો 61,690 રકિગ્રા જથ્થો જબ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડિયાદ ટીમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે હળદર, મરચા પાઉડર, અથાણાના મસાલા અને ધાણા પાઉડર જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું હતું. નડિયાદમાં જૂની મિલ કમ્પાઉન્ડ પાસે આવેલ મે. દેવ સ્પાઇસિસ, કમલા ગામ ખાતે રેલ્વે ક્રોસિંગની બાજુમાં આવેલ મે. સદગુરુ સેલ્સ કોર્પોરેશન અને નાની સીલોદ ખાતે આવેલ મે. ડી દેવ સ્પાઇસિસ પ્રા.લી.મા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન સ્થળ પર મરચું, હળદર, ધાણા પાઉડર તથા અથાણાના મસાલાની પ્રાથમિક તપાસ કરતા હળદરની ઓલિયો રેઝિન, સ્ટાર્ચ પાઉડર, ચોખાની કણકી, કાગળનો ભૂકો વગેરે ભેળસેળ કરવા માટે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો હતો. જેથી તેના કુલ ૧૨ મસાલા અન્ય ભેળસેળ માટેના પદાર્થના કાયદેસરના નમૂનાઓ બન્ને જગ્યાએથી લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૬૧,૬૯૦ કિ.ગ્રા જથ્થાની અંદાજીત કિંમત રૂ. ૭૩,૨૭,૦૫૦ થાય છે. આ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
વધુમાં મે. દેવ સ્પાઇસિસ દ્વારા ઉપરોક્ત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બનાવીને મે. ડી. દેવ સ્પાઇસિસને વેચવામાં આવતો હતો, જેને નિકાસ કરવામાં આવતો હતો તથા મસાલામાં વપરાતા હળદરની ઓલિયો રેઝિન મે. ડી. દેવ સ્પાઇસિસ દ્વારા Becarre Speciality Ingrdients, કોચીન, કેરલાથી મંગવવામાં આવતું હતું. મે. સદગુરુ સેલ્સ કોર્પોરેશન દ્વારા લોકલ માર્કેટમાં એક્સટ્રા હોટ તેજ મરચા પાઉડર, અપ્પુ બ્રાન્ડ મિર્ચ પાઉડર, ટાઇગર બ્રાન્ડ તીખાલાલ મિર્ચ પાઉડર, તીખાલાલ, જ્યોતિ તેજા મરચું જેવા બ્રાન્ડનેમથી આ ભેળસેળ યુક્ત મસાલા વેચવામાં આવતા હતા.
ભૂતકાળમાં પણ સદગુરુ ટ્રેડીંગ ખાતે શંકાસ્પદ ભેળસેળ વાળા મસાલા તપાસ દ્વારા મળી આવ્યા હતા. જેમાં તેને કુલ રૂ. ૬,૭૫,૦૦૦ નો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓની સામે નામદાર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ હજુ પણ ચાલી રહી છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરશ્રીની યાદીમાં જણાવાયુ છે.












Click it and Unblock the Notifications
