ફરી ઉડી બાપુના કોંગ્રેસ છોડવાની અફવા, બાપુએ કરી સ્પષ્ટતા
રવિવારે બપોરે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતો સામે આવી હતી. બાપુએ આ અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ અફવાઓનું બજાર પણ ગરમ થતું જાય છે. રવિવારે સવારે અફવા ઉડી હતી કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફેક્સથી રાજીનામું મોકલ્યું હોવાની વાતો ફરતી થઇ હતી. એવી પણ અફવા હતી કે, શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ખાલી રહેલ ત્રણ બેઠક પૈકી એક માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે.
છેલ્લા ઘણા સમયથી શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચેના મતભેદની ખબરો આવી રહી છે, એવામાં બાપુએ કોંગ્રેસ છોડ્યું હોવાના સમાચારથી રાજકારણ ક્ષેત્રે હાહાકાર થયો હતો. જો કે, શંકરસિંહ વાઘેલા આ તમામ વાતોને અફવા ગણાવી છે.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યું હોવાની તમામ વાતોને રદિયો આપતાં કહ્યું કે, હું હજુ પણ કોંગ્રેસમાં જ છું. એબીપી અસ્મિતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'મેં કોઇ રાજીનામું નથી આપ્યું, ના તો કોઇ ફેક્સ કે મેઇલ કર્યો છે. મારા રાજીનામાના અહેવાલ સત્યથી વેગળા છે. મારી એવી કોઇ યોજના પણ નથી. હું હાલ કોંગ્રેસમાં જ છું.'