
‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને ઉજાગર કરતું માધુપુર-જાંબુરનું મતદાન મથક
ગીર સોમનાથ, તા.૦૧: વિધાનસભાના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારોની કતાર લાગી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુરમાં ઉભા કરાયેલા 'વસુધૈવ કુટુમ્બકમ' મતદાન મથક ખાતે પણ સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
'વસુધૈવ કુટુમ્બકમ' વિશિષ્ટ મતદાન મથકના નોડલ ઓફિસર જે જે કનોજીયાએ દિવ્યાંગ, દ્રષ્ટિહિન તેમજ સીદી સંસ્કૃતિની ઝલક દર્શાવતા મતદારોને લોકશાહીનો આ અવસર સાર્થક બનાવવા બદલ ભારતના ચૂંટણીપંચ વતી આભાર વ્યક્ત કરતું પ્રમાણપત્ર આપી બીરદાવ્યા હતાં.
લોકશાહીના મહાપર્વમાં સર્વ પોતાનું યોગદાન આપે એવા હેતુથી તૈયાર કરાયેલું આ વિશિષ્ટ મતદાન મથક આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું 'વસુધૈવ કુટુમ્બકમ' મતદાન મથક માધુપુર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ મતદાન મથકના એક મંડપમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવી છે. જેથી અન્ય મતદારો પણ સીદી સમાજના સદીઓ જૂના ભવ્ય ભૂતકાળની ઝલક જોઈ શકશે.