મૌન સાધીને પણ ઘણું બધું કહી ગયા મોદી
31 જાન્યુઆરીથી મહિલા વિશ્વકપની શરૂઆત થઇ રહી છે. હાલ તો તેની મેજબાની મુંબઇ પાસે છે, પરંતુ શિવસેના દ્વારા પાકિસ્તાની ખેલાડીઓને લઇને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહિલા વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ પણ રમવા આવી રહી છે અને બીસીસીઆઇને સંદેહ છે કે શિવસેના દ્વારા વિશ્વકપ દરમિયાન વિરોધ કરવામાં આવે અથવા તો કોણ અણછાજતી હરકતો કરવામાં આવી શકે છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ દ્વારા ગુજરાતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રાજેશ પટેલે કહ્યું હતું કે, બીસીસીઆઇએ અમારો સંપર્ક કર્યો હતો અને આઇસીસી મહિલા વિશ્વકપ 2013ને હોસ્ટ કરવા માટે અમદાવાદ તૈયાર છે તે અંગે પૂછ્યું હતું, પરંતુ બોર્ડર પર જે તણાવભર્યો માહોલ ઉભો થયો છે, તેને લઇને અમે આ વિશ્વકપને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. જવાબ ભલે જીસીએના સેક્રેટરી દ્વારા આપવામાં આવ્યો હોય પરંતુ તેની પાછળનો દોરી સંચાર ચોક્કસપણે રાજ્યના મુખ્યમંત્રી અને જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવ્યો હશે.
પાકિસ્તાન સામે મોદીનું મૌન લોકોને ખૂંચ્યું
પાકિસ્તાને દેશના સપૂતો સાથે આચરેલી ક્રુરતા અંગે મોદીની દ્વારા એક શબ્દ પણ ઉચ્ચારવામાં નહીં આવતા એ વાત દેશભરને ખૂંચી રહી છે, સતત પાડોશી દેશ પર પ્રહાર કરતા જોવા મળતાં મુખ્યમંત્રી આવી ક્રુરતા સામે એક શબ્દ શા માટે બોલી રહ્યાં નથી. શા માટે તેઓ મૌન સેવીને બેઠાં છે એ વાત કોઇની સમજમાં આવી રહી નથી. જ્યારે તેમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં વિપક્ષ પદે બિરાજેલા સુષ્મા સ્વરાજ દ્વારા સતત પાકિસ્તાનની આ નાપાક હરકત સામે શબ્દોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. સતત તેઓ એક જ વાત કરી રહ્યાં છે કે પાકને જડબા તોડ જવાબ આપવો જોઇએ પરંતુ ઇંટનો જવાબ પથ્થરથી આપવા માટે જાણીતા મોદીએ જરા પણ વિરોધ દર્શાવતું નિવેદન હજું સુધી કર્યું નથી, જે સમજની બહાર જઇ રહ્યું છે.
વાઇબ્રન્ટની વ્યસ્તતાના કારણે કદાચ મોદીએ નહીં કરી હોય કોઇ ટિપ્પણી
આકરા પ્રહારો કરવા માટે જાણીતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મૌન પાછળ કદાચ રાજ્યની મેગા ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત હોઇ શકે છે. બોર્ડર પર જ્યારે આ ક્રુરતા કરવામાં આવી તેના બે દિવસ પછી જ રાજ્યમાં છઠ્ઠા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઇ હતી. જેમાં માત્ર દેશભરના ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ વિદેશના ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના ડિલેગશને પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. એ સમયે રાજ્ય અને દેશના વિકાસને ધ્યાનમાં રાખીને મોદીએ આ ઇવેન્ટ પર ધ્યન કેન્દ્રીત કરવાની વાતને મહત્વ આપ્યું હોય તેવું મનાઇ રહ્યું છે અને તેના કારણે જ તેમને કોઇ તિખી ટિપ્પણી કરવાના બદલે મૌન સેવવાનું યોગ્ય લાગ્યુ હશે.
ચૂંટણી વેળા મોદીએ ઉપાડ્યો હતો સરક્રિકનો મુદ્દો
2012ની ચૂંટણી દરમિયાન મોદી દ્વારા પોતાના ચૂંટણી પ્રચારમાં સતતને સતત સરક્રિકનો મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો હતો અને જો પાકિસ્તાન દ્વારા સીરક્રિકની જગ્યાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવશે તો ગુજરાત તેને નહીં સાંખી લે એવી ગર્ભીત ચેતવણી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. મોદીએ ઉપસ્થિત જનમેદનીને કહ્યું હતું કે, હું અહીં એક ગંભીર મુદ્દે ચર્ચા કરવા આવ્યો છે, જે અંગે પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો છે. પ્રધાનમંત્રી સર-ક્રિક અંગે પાકિસ્તાન સાથે કરાર કરવા જઇ રહ્યાં છે, પરંતુ જો તેમણે આ કરાર કર્યો તો ગુજરાત તબાહ થઇ જશે. જો તમે સર-ક્રિક પાકિસ્તાનને આપવાનું વિચાર્યું તો ગુજરાત તમારી પાસે તેનો હિસાબ ચૂકતે કરશે. આપણને ખબર છે 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાકે યુદ્ધનો પ્રારંભ ગુજરાતની સીમામાંથી કર્યો હતો. એ સીમા હતી સર-ક્રિકની, ત્યાંથી પાકીસ્તાને હિન્દુસ્તાન પર હુમલો કર્યો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા શહિદ થયા હતા. દિલ્હીમાં બેસેલી કોંગ્રેસની સરકાર પડદા પાછળ ચાલ ચાલી રહી છે અને દેશની જનતાને અંધારામાં રાખીને પાકિસ્તાન સાથે સમજોતો કરી રહી છે. આ વાતની મને જ્યારે ખબર પડી ત્યારે મે એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમને માહિતગાર કર્યા હતા કે, જો તમે સરક્રિકના સંબંધમાં પાક સાથે સમજોતો કરશો તો મારું હિન્દુસ્તાન અસુરક્ષિત થઇ જશે, ગુજરાત તબાહ થઇ જશે. કૃપા કરીને આવી ભૂલના કરતા. આજે મહેસાણાની સભા થકી આખા દેશને હું મારા ગુજરાતની પીડા બતાવવા માંગુ છું.
જીસીએનો ઇન્કાર
જીસીએના સેક્રેટરી રાજેશ પટેલે કહ્યું છે કે, વિશ્વકપની મેચ અમદાવાદમાં યોજવા અંગેના પ્રસ્તાવ સબબ બીસીસીઆઇએ જીસીએનો મૌખિક સંપર્ક કર્યો હતો. બીસીસીઆઇએ અમારો સંપર્ક કર્યો હતોઅને આઇસીસી મહિલા વિશ્વકપ 2013ને હોસ્ટ કરવા માટે અમદાવાદ તૈયાર છે તે અંગે પૂછ્યું હતું, પરંતુ બોર્ડર પર જે તણાવભર્યો માહોલ ઉભો થયો છે તેને લઇને અમે આ વિશ્વકપને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. હવે મેચ તેના નક્કી કરેલા સ્થળ અને સમય સાથે જ આગળ વધશે કે તેમાં કોઇ ફેરબદલ કરવામાં આવશે તે અંગેનો નિર્ણય આઇસીસી અને બીસીસીઆઇ દ્વારા કરવામાં આવશે.