લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત :પશુપાલન મંત્રી
પશુપાલન મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, રાજયના 22 જિલ્લાઓમાં પશુઓમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસિઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત ચિતિંત છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે, ત્યારે પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી.
પશુપાલન મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, રાજયના 22 જિલ્લાઓમાં પશુઓમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસિઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત ચિતિંત છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે, ત્યારે પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂર છે. રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે.
કૃષિ અને પશુપાલન મંત્રી એ ગુરૂવાર પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ લમ્પી રોગ સંદર્ભે સતત મોનિટરિંગ કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમની સૂચનાનુસાર રાજયનું સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે તૈનાત છે એટલું જ નહીં, પશુઓને સારવાર સહિતની તમામ સુવિધાઓ સત્વરે પુરી પાડવા સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.
રાધવજી પટેલે ઉમેર્યું કે, રાજપમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વલસાડ, વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ 23 જિલ્લાના 3358 ગામોમાં ગાય ભેંસ વર્ગના કુલ 76,154 પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ જોવા મળ્યો છે અને તે પૈકી 76,154 અસરગ્રસ્ત પશુઓમાંથી 54,025 પશુઓ સાજા થયા છે અને અન્ય 19,271 પશુઓની ફોલોઅપ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 2,858 પશુઓનાં લમ્પી સ્કીન ડિસિઝનાં કારણે મરણ થયું હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 31.14 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને 14.36 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે.
રાધવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી નોધાયેલા કેસમાં સૌથી વધુ 38,891 (52 ટકા ) કેસ કચ્છ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં 8,186 (11 ટકા) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7,447 (10 ટકા), જામનગર જિલ્લામાં 6,047 (8 ટકા) અને રાજકોટ જિલ્લામાં 4,359 (6 ટકા) નોંધાયા છે. આજે સવારે 8 કલાકે 23 જિલ્લાઓ પૈકી 12 જિલ્લાઓમાં કોઈપણ નવા કેસ નોંધાયો નથી. નવા નોંધાયેલા 744 કેસ પૈકી સૌથી વધુ કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં - 301 રાજકોટ જિલ્લામાં 105, ભાવનગર જિલ્લામાં 78, જામનગર જિલ્લામાં 74, બનાસકાંઠા જિલ્લામાં 65, કચ્છ જિલ્લામાં 64, બોટાદ જિલ્લામાં 27, પોરબંદર જિલ્લામાં 22, ગીરસોમનાથ જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં 3 અને મહેસાણા જિલ્લામાં 2 કેસ નોધાયેલ છે.
જ્યારે 23 જિલ્લાઓ પૈકી માત્ર 8 જિલ્લાઓમાં કુલ 76 પશુ મરણ નોંધાયેલા છે, જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ - 47, ભાવનગર જિલ્લામાં 11, પોરબંદર જિલ્લામાં 7, બોટાદ જિલ્લામાં 5, જામનગર જિલ્લામાં 2, ગીર સોમનાથ જિલ્લામાં 2, દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં 1 અને મોરબી જિલ્લામાં 1 પશુનું મોત થયું છે. બાકીના 15 જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યું થયું નથી.
મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે,જામનગર જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના જિલ્લાના 02 તાલુકાઓમાં 02 જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ ભૂજ આઈસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીએ વેક્સિનેશન સેન્ટરની પણ મુલાકાત લઈને વેક્સિન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લાના અધિકારીઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને ડેરીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી અને તેમાં મુખ્યમંત્રીએ જિલ્લાના પશુધનમાં આ લમ્પી સ્કિન ડિસિઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી.
રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમા સત્વરે સારવાર સહિતની સુવિધાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે. રાજયના પશુપાલન મંત્રી રાધવજી પટેલ અને મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા પણ રોજબરોજ સતત મોનિટરિંગ કરીને સમીક્ષા પણ કરવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સારવાર સંદર્ભે સતત ચાંપતી નજર રાખીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને રોગ વધુ પ્રસરે નહી.
પશુપાલન મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશય થી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC) ખાતે રાજય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કન્ટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશ્નર નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહી,પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 શરૂ કરાયો છે. જેના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.