‘લોખંડી પુરુષ' સરદાર પટેલને પીએમ મોદીએ લેખ લખીને આપી શ્રદ્ધાંજલિ, વાંચો
સરદાર પટેલની 143મી જન્મજયંતિના પ્રસંગે પીએમ તેમની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.પીએમ મોદીએ બ્લોગ લખીને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામા દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ઉદઘાટન કરશે. પટેલની 143મી જન્મજયંતિના પ્રસંગે પીએમ તેમની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે. 182 મીટરની ઉંચાઈ ધરાવતી આ પ્રતિમા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. ખાસ પ્રસંગે પીએમ મોદીએ બ્લોગ લખીને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પણ વાંચોઃ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે બદલી દીધી દુનિયા...
સૌથી મોટી ચિંતા હતી ભારતની એકતા
વર્ષ 1947ના પહેલા છ મહિના ભારતના ઈતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ હતા. સામ્રાજ્યવાદી શાસનની સાથે સાથે ભારતનું વિભાજન પણ પોતાના અંતિમ ચરણમાં હતુ. ત્યારે એ તસ્વીર સંપૂર્ણપણે સ્પષ્ટ નહોતી કે શું દેશનું એકથી વધુ વાર વિભાજન થશે? ભાવો આસમાન પર પહોંચી ગયા હતા. ખાદ્ય પદાર્થોની અછત સામાન્ય હતી. પરંતુ સૌથી મોટી ચિંતા ભારતની એકતા અંગે હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જયંતિ
આ પૃષ્ઠભૂમાં ‘ગૃહ વિભાગ' ની રચના વર્ષ 1947ના જૂન મહિનામાં કરવામાં આવી. આ વિભાગનું મુખ્ય લક્ષ્ય તે 550થી પણ વધુ રજવાડાઓને ભારત સાથે તેમના સંબંધો વિશે વાતચીત કરવાનું હતુ. જેમના આકાર, વસ્તી, ભૂ-ભાગ અથવા આર્થિક સ્થિતિઓમાં ઘણી ભિન્નતાઓ હતી. તે સમયે મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે ‘રાજ્યોની સમસ્યા એટલી વિકટ છે કે માત્ર ‘તમે' જ તેને ઉકેલી શકો છો.' અહીં ‘તમે' નો અર્થ સરદાર વલ્લભભાઈ પટેલથી છે જેમની જન્મજયંતિ આજે આપણે મનાવી રહ્યા છે.
સમય ઓછો હતો અને જવાબદારી બહુ મોટી હતી. પરંતુ તેને અંજામ આપનાર વ્યક્તિત્વ કોઈ સાધારણ વ્યક્તિ નહિ પરંતુ સરદાર પટેલ હતા જે એ વાત માટે દ્રઢ-પ્રતિજ્ઞ હતા કે તે કોઈ પણ પરિસ્થિતિમાં રાષ્ટ્રને ઝૂકવા નહિ દે. તેમણે અને તેમની ટીમે એક-એક કરીને બધા રજવાડાઓ સાથે વાતચીત કરી. બધા રજવાડાઓ ‘આઝાદ ભારત' નો અભિન્ન અંગ બનવાનું સુનિશ્ચિત કર્યુ. તેમના કારણે આધુનિક ભારતનું વર્તમાન એકીકૃત માનચિત્ર આપણે જોઈ રહ્યા છે.
કહેવાય છે કે વી પી મેનને સ્વતંત્રતા મળવા પર સરકારી સેવામાંથી રજા લેવાની ઈચ્છા વ્યક્ત કરી. આના પર સરદાર પટેલે તેમને કહ્યુ કે સમય આરામ કરવા કે સેવા નિવૃત્ત થવાનો નથી. મેનન વિદેશ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા. તેમણે પોતાના પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ધ ઈન્ટીગ્રેશન ઓફ ઈન્ડિયન સ્ટેટસ'માં લખ્યુ છે કે કેવી રીતે સરદાર પટેલે આ મુહિમમાં અગ્રણી ભૂમિકા નિભાવી અને પોતાના નેતૃત્વમાં સમગ્ર ટીમને પરિશ્રમથી કામ કરવા માટે પ્રેરિત કર્યા. તેમણે લખ્યુ છે કે સરદાર પટેલ માટે સૌથી પહેલા ભારતની જનતાનું હિત હતુ જેના પર કોઈ સમજૂતી ન કરી શકાય.
દિગ્ગજ નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ
આપણે 15 ઓગસ્ટ, 1947ના રોજ નવા ભારતના ઉદયનો ઉત્સવ મનાવ્યો. પરંતુ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય અધૂરુ હતુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી રૂપે તેમણે પ્રશાસનિક ઢાંચો બનાવવાનું કામ આરંભ કર્યુ જે આજે પણ ચાલુ છે - ભલે તે દૈનિક શાસન સંચાલનની વાત હોય તથા લોકો, વિશેષ કરીને ગરીબો અને વંચિતોના હિતોની રક્ષાની વાત હોય.
સરદાર પટેલ એક અનુભવી પ્રશાસક હતા. પ્રશાસનમાં તેમનો અનુભવ વિશેષ કરીને 1920ના દાયકામાં અમદાવાદ નગરપાલિકામાં તેમની સેવાનો અનુભવ, સ્વતંત્ર ભારતના પ્રશાસનિક ઢાંચાને મજબૂત બનાવવામાં સહાયક સાબિત થયો. તેમણે અમદાવાદમાં સ્વચ્છતા કાર્ય આગળ વધારવામાં પ્રશંસનીય કાર્ય કર્યા. તેમણે સમગ્ર શહેરમાં સ્વચ્છતા અને ડ્રેનેજ સિસ્ટમ સુનિશ્ચિત કરી. તેમણે રસ્તા, વિજળી તથા શિક્ષણ જેવી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બીજી પાસાંઓ પર પણ જોર આપ્યુ. આજે જો ભારત જીવંત સહકારી ક્ષેત્ર માટે ઓળખવામાં આવે છે તો તેનો શ્રેય સરદાર પટેલને જાય છે. ગ્રામીણ સમાજો, વિશેષ કરીને મહિલાઓને સશક્ત બનાવવાનું તેમનું વિઝન અમૂલ પરિયોજનામાં જોવા મળે છે. એ સરદાર પટેલ જ હતો જેમણે સહકારી આવાસ સોસાયટીના વિચારન લોકપ્રિય બનાવ્યા અને આ પ્રકારે અનેક લોકો માટે સમ્માન અને આશ્રય સુનિશ્ચિત કર્યા.
સરદાર પટેલ નિષ્ઠા અને ઈમાનદારીના પર્યાય રહ્યા. ભારતના ખેડૂતોને તેમનામાં પ્રગાઢ આસ્થા હતી. તે ખેડૂતપુત્ર હતા, જેમણે બારડોલી સત્યાગ્રહ દરમિયાન આગલી હરોળમાં રહી નેતૃત્વ કર્યુ. શ્રમિક વર્ગ તેમનામાં આશાની કિરણ જોતા હતા, એક એવા નેતા જોતા હતા જે તેમના માટે બોલશે. વેપારી અને ઉદ્યોગપતિઓએ તેમની સાથે એટલા માટે કામ કરવુ પસંદ કર્યુ કારણકે તે સમજતા હતા કે સરદાર પટેલ ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના વિઝનવાળા દિગ્ગજ નેતા છે.
તેમના રાજકીય મિત્ર પણ તેમના પર ભરોસો કરતા હતા. આચાર્ય કૃપલાનીનું કહેવુ હતુ કે જ્યારે ક્યારેય પણ તે દુવિધામાં હોય અને જો બાપૂનું માર્ગદર્શન ન મળી શકતુ તો તે સરદાર પટેલ પાસે જતા હતા. વર્ષ 1947માં જ્યારે રાજકીય સમજૂતી વિશે વિચાર-વિમર્શ પોતાની ચરમસીમાએ હતો ત્યારે સરોજિની નાયડુએ તેમને ‘સંકલ્પ શક્તિવાળા ગતિશીલ વ્યક્તિ' ની સંજ્ઞા આપી હતી. તેમના શબ્દો અને તેમની કાર્યપ્રણાલી પર બધાને પૂરો ભરોસો હતો.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' હ્રદયની એકતાનું પ્રતીક
આ વર્ષે સરદારની જયંતિ વધુ વિશેષ છે. 130 કરોડ ભારતીયોના આશીર્વાદથી આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ઉદઘાટન કરવામાં આવી રહ્યુ છે. નર્મદાના તટ પર સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાઓમાંથી એક છે. ધરતીપુત્ર સરદાર પટેલ આપણુ શીશ ગર્વથી ઉંચુ કરવા સાથે આપણને દ્રઢતા પ્રદાન કરશે, આપણુ માર્ગદર્શન કરશે અને આપણે પ્રેરણા આપતા રહેશે. હું 31 ઓક્ટોબર, 2013ના એ દિવસને યાદ કરુ છુ, જ્યારે અમે આ મહત્વાકાંક્ષી પરિયોજનાનો આધારસ્તંભ મૂક્યો હતો. રેકોર્ડ સમયમાં આટલી મોટી એક પરિયોજના તૈયાર થઈ ગઈ અને પ્રત્યેક ભારતીયને આના માટે ગૌરવ હોવો જોઈએ. હું આપ સૌને આગ્રહ કરુ છુ કે આવનારા સમયમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' ને જોવા માટે આવો. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' હ્રદયની એકતા અને આપણી માતૃભૂમિની એકજૂટતાનું પ્રતીક છે. તે યાદ અપાવે છે કે છૂટાછવાયા કદાચ આપણે સામનો નહિ કરી શકીએ. એકજૂટ થઈને આપણે દુનિયાનો સામનો કરી શકીએ છીએ અને વિકાસ તથા ગૌરવની નવી ઉંચાઈઓ સ્પર્શી શકીએ છીએ.
સરદાર પટેલે વસાહતીવાદના ઈતિહાસનો નાશ કરવા માટે અભૂતપૂર્વ ગતિએ કામ કર્યુ અને રાષ્ટ્રવાદની ભાવના સાથે એકતાના ભૂગોળની રચના કરી. તેમણે ભારતને નાના ક્ષેત્રો અથવા રાજ્યોમાં વિભાજિત થવાથ બચાવ્યુ અને રાષ્ટ્રીય ઢાંચામાં સૌથી નબળો હિસ્સાને જોડ્યો. આજે આપણે 130 કરોડ ભારતીયો નવા ભારતનું નિર્માણ કરવા માટે ખભાથી ખભા મિલાવીને કામ કરી રહ્યા છે, જે મજબૂત, સમૃદ્ધ અને સમગ્ર હશે.
દરેક નિર્ણય એ સુનિશ્ચિત કરીને કરવામાં આવી રહ્યો છે કે વિકાસનો લાભ ભ્રષ્ટાચાર અથવા પક્ષપાત વિના સમાજના સૌથી નબળા વર્ગ સુધી પહોંચે જેમ સરદાર વલ્લભભાઈ પટેલ ઈચ્છતા હતા.
આ પણ વાંચોઃ વિદેશી મીડિયાને સરદારની પ્રતિમા કેમ પસંદ નથી આવી રહી?