વિધાનસભા ફરી ખંડિત : સુરતના MLA કિશોરભાઇ વાંકાવાલાનું નિધન
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે જ તેમને મળ્યા હતા. મોદીએ તેમને ટ્વિટર પર શ્રધ્ધાંજલી આપી છે અને તેમના પરિવારને ઇશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. વાંકાવાલાની અંતિમયાત્રા આજે બપોરે એક વાગે તેમના નિવાસસ્થાન જલદર્શન સોસાયટી, અઠવાલાઇન્સ, સુરત ખાતેથી નીકળી હતી.
કિશોરભાઇ સુરતના ધારાસભ્ય હતા. તેઓ સુરત શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચુકયા હતા. કિશોરભાઇ રતિલાલભાઇ વાંકાવાલાનો જન્મ 24 મે 1944માં થયો હતો. તેઓએ ઇન્ટર સાયન્સ (જુના અભ્યાસક્રમ મુજબ) કરેલું હતું. તેઓની પત્નીનું નામ રમાબેન છે. તેઓને સંતાનમાં એક પુત્રી છે.
સુરત મોઢવણિક સમસ્ત પંચ, ઓટો રીક્ષા મંડળ, પંચશીલ મર્કન્ટાઇલ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન હતું. ડિસેમ્બર 2012ની ધારાસભાની ચૂંટણીમાં સુરત પશ્ચિમની બેઠક પર 70 હજાર મતની સરસાઇથી ચૂંટાયા હતા. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનો 182મો આંક ફરી ખંડિત થઇને 181 થઇ ગયો છે.