સ્વાઇન ફ્લુનો ગુજરાતમાં હાહાકાર, મૃત્યુઆંક 354 પર પહોંચ્યો
સ્વાઇન ફલુનો મૃત્યુઆંક વધીને 354 પર પહોંચ્યો છે. સાથે જ ગત ગુરુવારે 174 નવા કેસ પણ નોંધવામાં આવ્યા છે. ત્યારે આ અંગે વધુ જાણકારી વાંચો અહીં
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ જે મોતનો ભરડો લીધો છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કારણે મરનાર લોકોની સંખ્યા હવે વધીને 354 થઇ ગઇ છે. ગત ગુરુવારે સ્વાઇન ફ્લુના કારણે વધુ 5 લોકોની મોત થઇ છે. અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ બિમારીને કારણે 354 લોકોની મોત થઇ ચૂકી છે. મૃત્યુઆંક વધવાની સાથે જ સ્વાઇન ફ્લુના દર્દીઓની સંખ્યામાં પણ રોજ રોજ વધારો થઇ રહ્યો છે. સ્વાઇન ફ્લુના વધુ 174 નવા કેસ નોંધવામાં આવ્યા છે. ગત બુધવારે જ સ્વાઇન ફ્લુના કારણે 6 લોકોની મોત થઇ હતી અને એક જ દિવસમાં નવા 133 કેસ સ્વાઇન ફ્લુના નોંધવામાં આવ્યા હતા.
જો કે બીજી તરફ 3,874 જેટલા સ્વાઇન ફ્લુના વ્યક્તિઓ પણ સજા થઇને તેમના ઘરે પરત ફર્યા છે. જેમાંથી 1,850 લોકો ગત અઠવાડિયે જ આ બિમારીને માત આપી સાજા થઇ પોતાના ઘરે પાછા ફર્યા છે. વધુમાં સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ હોસ્પિટલોમાં હાલ 599 વેન્ટિલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને નવ સરકારી લેબોરેટરીમાં સ્વાઇન ફ્લુના ટેસ્ટ મફતમાં કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ સ્વાઇન ફ્લુ વકરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ચાર મુખ્ય શહેરોની હોસ્પિટલની જાત તપાસ કરી હતી.