લાઠીચાર્જ પછી સુરત, અમદાવાદમાં કાપડ બજાર બંધ
સોમવારે સુરતમાં કાપડ વેપારીઓ પર કરેલ લાઠીચાર્જના વિરોધમાં અમદાવાદ, સુરતમાં કાપડ બજાર બંધ
દેશભરમાં 1 જુલાઈથી જીએસટીનો અમલ થઇ ચુક્યો છે અને આ સાથે જ કેટલાક વેપારીઓ જીએસટીના વિરોધમાં હડતાલ ઉપર ઉતરી ગયા છે. વેપારીઓના ટેક્સ સ્લેબમાં વધારો થતાં વેપારી એસોશિયેશન સરકારથી નારાજ છે અને આ કારણે હડતાલ પાડવામાં આવી છે. ગુજરાતના સુરત, અમદાવાદ જેવા શહેરો પણ આ હડતાલમાંથી બાકાત નથી.
સુરતને ટેક્સટાઇલ માર્કેટનું હબ ગણવામાં આવે છે. સોમવારે સુરતના કાપડના વેપારીઓ કાપડને જીએસટી મુક્ત કરવાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા હતા. વિરોધ કરવા નીકળેલા વેપારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના વિરોધમાં અમદાવાદ અને સુરતના કાપડ વેપારીઓ દ્વારા મંગળવારે બંધ પાળવામાં આવ્યો છે. સરકાર અને પોલીસના વિરોધમાં વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને આજે પણ વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સાંસદ સી.આર.પાટીલની આગેવાનીમાં રવિવારે સાંજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં વેપાર પ્રગતિ સંઘ, એસજીટીટીએ અને એસજીટીપીએ તથા મોટી સંખ્યામાં ભેગા થયેલા કાપડના વેપારીઓએ હડતાલ ન પાડી સથાવત રીતે દુકાનો કાર્યરત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ સોમવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો ખુલતાં વેપારીઓના એક જૂથે ટેક્સટાઇલ માર્કેટની પોલીસ ચોકીનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો. વેપારીઓના પથ્થરમારામાં એક પોલીસ કર્મીને ઇજા પહોંચતા પોલીસે વેપારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને વિરોધ કરતા વેપારીઓના ટોળાના દુર કર્યા હતા. આ મામલે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.