પતિના ત્રાસથી પરેશાન ગુજરાતની દિકરીને પોર્ટુગલથી ગુજરાત પરત લવાઈ
પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને સહી સલામત ગુજરાત પરત લવાઈ છે. આ માટે પરિવારે રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
ગુજરાતના વતની અશોક ચૌહણે રાજ્ય સરકારને રજૂઆત કરીનેતેમની દિકરી જિનલબેનને પોર્ટુગલમાં તેના પતિ દ્વારા શારિરીક અને માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાની હકિકત જણાવી હતી. આ દિકરીને પતિ દ્વારા નજર કેદમાં રાખીને હેરાન પરેશાન કરી દેવામા આવી હતી. પરિવારે દિકરીને સહી સલામત ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી.

આ રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ દિકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારને જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દિકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. દિકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
અરજદારના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને રાજ્ય સરકારે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજદારની રજુઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવામાં આવી હતી અને પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીના ઇમેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.
આ સંદર્ભે અરજદારના ઇમેઇલથી તેઓની રજુઆત બાદ દીકરી હેમખેમ ગુજરાત પરત આવી ગઈ હોવાથી રાજ્ય સરકારના પ્રયાસો માટે આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
