સૌરાષ્ટ્ર-તમિલ સમાજની સહિયારી આસ્થાનું પ્રતિક એટલે સોમનાથ પાસેનું મુરુગન મંદિર, જાણો શું છે આ મંદિરની ખાસિયત?
એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે ગુજરાતમાં ૧૭મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સોમનાથના વેરાવળમાં વસતા તમિલ સમાજના લોકોમાં ઉત્સાહ છે. સદીઓ પહેલા સૌરાષ્ટ્રથી તમિલનાડુ ગયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોએ ત્યાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, ધર્મ અને રીતિરિવાજો સાચવ્યા છે તો એવી જ રીતે વેરાવળ સોમનાથમાં વર્ષોથી સ્થાઈ તમિલ લોકોએ પોતાની સંસ્કૃતિ, ધર્મ, પરંપરા જાળવી છે. અહીં સોમનાથ નજીક તમિલ સમાજના ભગવાન કાર્તિકેય સ્વામી (મુરુગન સ્વામી)નું મંદિર સૌરાષ્ટ્ર અને તમિલ સમાજની સહિયારી આસ્થાનું પ્રતીક છે.
વેરાવળના જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની પાછળ ભીડીયા વિસ્તારમાં ભીડભંજન મહાદેવ મંદિરની પાછળ સમુદ્ર કિનારે ભગવાન મુરુગન તેમજ ભગવાન ગણેશજીનું અનોખું મંદિર આવેલું છે. સામાન્ય દર્શનાર્થીઓ માટે આ મંદિર અજાણ્યું છે પણ વેરાવળમાં વસતા તમિલ સમુદાયના લોકો માટે આ મહત્વપૂર્ણ આસ્થા-કેન્દ્ર છે.

ચાર પાંચ દાયકા પહેલા રોજગારી-વ્યવસાય માટે તમિલનાડુથી ઘણા તમિલ લોકો સૌરાષ્ટ્રના સોમનાથ, વેરાવળ સહિતના વિસ્તારમાં આવ્યા હતા. એ સમયે તમિલ લોકો જેમને પોતાના આરાધ્ય ભગવાન ગણીને જેમની પૂજા કરે છે તેવા કાર્તિકેય સ્વામી (મુરુગન ભગવાન)નું કોઈ મંદિર નહોતું. આથી વાર-તહેવારે અહીંના તમિલ લોકો સાથે મળીને ભગવાન મુરુગનની તસવીરનું પૂજન અર્ચન કરતા હતા.
વર્ષો સુધી વેરાવળમાં રહેલા અને થોડા સમય અગાઉ તમિલનાડુના તિરૂપુરમાં સ્થાઈ થયેલા બાલા સુબ્રમણ્યમે જણાવ્યું કે, તસવીરના પૂજન અર્ચન પછી અહીંના તમિલ લોકોએ ભગવાન મુરુગનનું મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો અને જુલાઈ ૧૯૮૭માં ભીડીયા વિસ્તારમાં દરિયા કિનારે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં સ્થાનિક લોકોનો પણ સહયોગ રહ્યો હતો. એ પછી અહીં ભગવાન ગણેશજીનું મંદિર પણ નિર્મિત કરવામાં આવ્યું. ત્યારબાદથી તમિલ સમાજ દ્વારા અહીં તમામ ઉત્સવોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.
મૂળ તમિલનાડુના અને 30 વર્ષથી સોમનાથમાં રહેતા તિરુપતિજી હાલ આ મંદિરના ટ્રસ્ટી છે. તે કહે છે કે, તમિલ સમુદાય દ્વારા અહીં વર્ષભરમાં 11 જેટલા ઉત્સવ-તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં મકર સંક્રાતિ-પોંગલ, કાર્તિક દીપમ, થાઈપુસમ અને પંગુની ઉથીરમ મુખ્ય છે.
થાઈપુસમ ઉત્સવ દરમિયાન વેરાવળના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરેથી દૂધ ભરેલા પાત્રોની કાવડ યાત્રા લઈને તમિલ લોકો પદયાત્રા કરતા આવે છે અને અહીં કાર્તિકેય સ્વામીને અભિષેક કરે છે. બધા ઉત્સવો દરમિયાન અહીં તમિલ પરંપરા પ્રમાણે પૂજન, અર્ચન, અભિષેક, અન્નદાન તેમજ વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
તેમણે કહ્યું હ કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે બંને રાજ્યના લોકોને એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડશે. અમે અમારા રાજ્યમાં વસતા સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓને આવકારવા માટે ઉત્સુક છીએ.












Click it and Unblock the Notifications
