ન્યુ ટ્રાન્સપોર્ટેશન : ઇલેક્ટ્રિક બસનો પાઇલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લોન્ચ થશે
ગાંધીનગર, 14 જુલાઇ : ગુજરાતનું પર્યાવરણ વધારે સ્વચ્છ અને હરિયાળું બને તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા પગલાંના ભાગરૂપે આગામી સમયમાં 'ઇલેક્ટ્રિક બસ'નો પાઇલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકાર આ પાઇલોટ પ્રોજેક્ટ રાજ્યના પાટનગર ગાંધીનગર અને શહેર અમદાવાદ વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શરૂ કરશે.
આ અંગે જીપીસીએલ વેબસાઇટ પર જોવા મળેલા અહેવાલ અનુસાર ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી યોજનામાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL - જીપીસીએલ) એ સહભાગી બનવામાં રસ દાખવ્યો છે.
રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ આ પ્રોજેક્ટ અંગેની વાત કરતા જણાવ્યું કે 'GPCL પાયલોટ પ્રોજેક્ટ તરીકે e-vehicle (ઇ-વ્હિકલ)નો પ્રોજેક્ટ અમલી બનાવવા માટે તૈયાર છે.'
આ અંગે જીપીસીએલના અધિકારીના જણાવ્યા અનુસાર 'ઇલેક્ટ્રિક વ્હિકલ્સ અને સૌર ઉર્જા આધારિત ચાર્જિંગ સિસ્ટમ'આ પાઇલોટ પ્રોજેક્ટમાં અમલી બનાવાશે. તેની પ્રેરણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. તેઓ નવીન વિચારોની મદદથી પર્યાવરણ માટે ઉપયોગી પગલાં લેવાની દિશામાં કામ કરવા માંગતા હતા.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે બસો દોડાવવામાં આવશે. જો તેમાં સફળતા મળશે તો સમગ્ર રાજ્યમાં તબક્કાવાર અમલીકરણ થશે.
આ બસોમાં સોલર પાવરની મદદથી ઇલેક્ટ્રિક ચાર્જિંક કરવામાં આવશે. તેના માટે ખાસ સ્ટેશન પણ વિકસાવાશે. આ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
મહત્વની બાબત એ છે કે આ પ્રોજેક્ટ ખરેખર ક્યારે શરૂ થશે તેનો પાક્કો સમય નક્કી કરવામાં આવ્યો નથી. જો કે પ્રોજેક્ટ શરૂ થયાની તારીખથી છ મહિના માટે આ ગ્રીન પ્રોજેક્ટનું રાજ્ય સરકાર દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે.
1
આ પ્રોજેક્ટ અંતર્ગત જાહેર પરિવહન અંતર્ગત 15થી 20 જેટલી ઇ-બસો પ્રાથમિક તબક્કે દોડાવવામાં આવશે.
2
ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં સૌર ઉર્જા આધારિત ચાર્જિંગ સિસ્ટમ હશે.
3
પાઇલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે બસો દોડાવવામાં આવશે.
4
આ પ્રોજેક્ટ માટે 15 જેટલી 40 સીટર મીની બસ અમલમાં લેવામાં આવશે.
5
આ વર્ષના અંતમાં આ પ્રોજેક્ટ ગાંધીનગર - અમદાવાદ વચ્ચે શરૂ થઇ જશે.