નવસારીમાં CM યોગી: રાહુલ મંદિરમાં જઇને પાખંડ કરી રહ્યાં છે
ગુજરાત ગૌરવ યાત્રામાં ભાગ લેવા રાજ્યમાં આવેલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવસારી ખાતે જનસભાનું સંબોધન કર્યું હતું.
ભાજપના સ્ટાર પ્રચારક ગણાતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ અહીં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા હેઠળ સુરત, વલસાડ, નવસારી વગેરે જેવા સ્થળોએ વિધાનસભા બેઠકની મુલાકાત લીધી હતી અને જનસભા પણ સંબોધિત કરી હતી. વલસાડ ખાતેની જનસભામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા બાદ તેમણે નવસારીના ઇટાવડા ગામમાં સભા સંબોધન કર્યું હતું. અહીં તેમણે રાહુલ ગાંધીની મંદિર મુલાકાતો અંગે પ્રશ્ન કર્યો હતો.

રાહુલની મંદિર મુલાકાત અંગે પ્રશ્નો
યોગી આદિત્યનાથની છાપ હિંદુવાદી નેતા તરીકેની છે. તેમણે નવસારી ખાતે રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, મંદિરોમાં જઇ કોંગ્રેસના શહજાદા પાખંડ કરી રહ્યાં છે. એમને પૂછો તો ખરા કે દ્વારકા મંદિરમાં જઇને કોના દર્શન કર્યા? અયોધ્યામાં જે રામ છે તે કોણ છે? કોંગ્રેસ તો કહે છે કે, રામ અને કૃષ્ણ જન્મયા જ નહોતા. કોંગ્રેસે રામસેતૂને તોડવાની વાત કરી હતી. સોમનાથ મંદિરના જીર્ણોધારનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
'કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની'
કોંગ્રેસ પર પ્રહારો કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાંથી કોંગ્રેસ સાફ થઇ ગઇ, અમેઠીમાં પણ કોઇ વિકાસ થયો નથી. આજની કોંગ્રેસ બાપુની કોંગ્રેસ નથી. કોંગ્રેસનું નામ કરપ્શન પાર્ટી રાખવું જોઇએ. યુપીએના શાસનમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો. દેશમાં કોંગ્રેસનું રાજ હતું, એ 10 વર્ષો ભારતના સૌથી કાળા વર્ષો છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની છે. ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસી ધારાસભ્યો બેંગ્લોરમાં હતા અને રાહુલ ગાંધી ઇટલી ભાગી ગયા હતા. ગુજરાતના ભૂકંપમાં પણ કોંગ્રેસે મદદ નહોતી કરી.












Click it and Unblock the Notifications
